શનિવાર, 4 એપ્રિલ, 2020

ભારતીય જનસંઘની સ્થાપના અને કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીની શહીદી.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ હતું.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેનાં સખ્ત વિરોધી હતા.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને અલગ ધ્વજ,અલગ બંધારણ,અલગ વડાપ્રધાન અને કાશ્મીરમાં પ્રવેશ માટે પરમીટપ્રથાની મંજુરી સાથે ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.

જવાહરલાલ નેહરુની રાષ્ટ્રવિરોધી અને હિંદુ વિરોધી નીતિઓના વિરોધમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ ઉદ્યોગમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.પરંતુ તેઓ નેહરુ સરકારની કાશ્મીર અંગેની કુનીતિઓનો સંસદની અંદર અને બહાર વિરોધ કરતાં રહ્યા.થોડાં સમય સુધી તેઓ પાર્ટી વગરના નેતા તરીકે કાર્યરત હતા.આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂજ્ય શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી)ને મળ્યા.પુ.ગુરુજીએ તેમને રાષ્ટ્રીય એકતા તથા ભારતની અખંડીતતાની રક્ષા માટે નવી રાજકીય પાર્ટી બનાવવાનો આગ્રહ કર્યો અને તેનાં માટે સંઘના કેટલાંક વિશ્વાસુ અને ચુનંદા કાર્યકર્તાઓ આ કાર્ય માટે આપવાનું વચન આપ્યું.પં.દીનદયાળ ઉપાધ્યાય,બલરાજ મધોક,ભાઈ મહાવીર,એટલબિહારી બાજપાઈ,નાનાજી દેશમુખ,કુશાભાઉ ઠાકરે,સુંદરસિંહ ભંડારી,જગદીશપ્રસાદ માથુર સહીતના કાર્યકર્તાઓને પુ.ગુરુજીએ આ કામ માટે સંઘના કાર્યમાંથી મુક્ત કર્યા

ડો.મુખરજીએ આ બધાં કાર્યકર્તાઓ સાથે અનેક ચિંતન બેઠકો કરી અને ઘણાં વિચારવિમર્શ બાદ ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ દિલ્હી ખાતે ‘ભારતીય જનસંઘ’નામની રાજકીય પાર્ટીની ઘોષણા કરવામાં આવી અને તેનાં પ્રથમ અધ્યક્ષની જવાબદારી ડો.શ્યામાપ્રસાદ મુખરજીને સોંપવામાં આવી.

દિલ્હીમાં પ્રથમ કાર્યકર્તા સંમેલનને સંબોધતા ડો.મુખરજીએ કહ્યું હતું કે,’’આપણે પૂર્ણ વિશ્વાસ,આશા અને હિંમત સાથે આપણું કાર્ય કરીશું.આપણાં કાર્યકર્તાઓ સદાય યાદ રાખે કે ફક્ત સેવા અને બલિદાનના માધ્યમથી જ જનસમૂહનો વિશ્વાસ જીતી શકાય છે.ભારતનાં પુનર્નિર્માણનું મહાન કાર્ય આપણી રાહ જોઈ રહ્યું છે.આપણો પક્ષ કોઈપણ ભેદભાવ વગર દરેક જ્ઞાતિ-જાતી,ધર્મ-સમુદાયના લોકોને આવકારે છે.વિધાતા આપણને કોઈપણ પ્રકારની લોભ-લાલચમાં પડ્યાં વગર સાચા માર્ગ પર આગળ વધવાની શક્તિ આપે અને ભારતને ફરીથી મહાન તથા સશક્ત રાષ્ટ્ર બનનાવાનાં કાર્યમાં સહાય કરે તે જ પ્રાર્થના.’’

ડો.મુખરજી સઘન પ્રવાસ દ્વારા લોકોને મળી રહ્યાં હતાં અને સંગઠનનું કાર્ય જોરશોરથી આગળ વધારી રહ્યાં હતા.દેશભરમાં વધી રહેલી તેમની લોકપ્રિયતાથી અકળાઈને એકવાર સંસદમાં જવાહરલાલ નેહરુએ ડો.મુખરજીને કહ્યું કે,’’હું જનસંઘને કચડી નાંખીશ.’’ ત્યારે તેનાં પ્રત્યુતરમાં ડો.મુખરજીએ કહ્યું હતું કે,’’ તમે જનસંઘને કુચડવાની વાત કરો છો ત્યારે મારે તમને કહેવું છે કે હું તમારી આ કચડી નાંખવાની માનસિકતાને જ હંમેશા માટે કચડીને ફેંકી દઈશ’’.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને અલગ દરજ્જો અને પ્રવેશ માટે પરમીટપ્રથા લાગુ થઇ ગઈ હતી.તે મુજબ કોઈપણ ભારતીયને આઝાદ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પ્રવેશ લેવો હોય તો કેન્દ્રીય રક્ષા મંત્રાલયમાંથી પરમીટ લેવી ફરજીયાત હતી.તેનાં વિરોધ અને કાશ્મીરના ભારતમાં પૂર્ણ વિલયની માંગ સાથે પં.પ્રેમનાથ ડોગરાની અધ્યક્ષતામાં કાશ્મીરની ‘પ્રજા પરિષ’દ સંસ્થાએ આંદોલનો ચાલુ કર્યાં હતાં.તેમનાં પર શેખ અબ્દુલ્લા સરકાર દ્વારા અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યાં હતાં.પરંતુ નેહરુજીએ આ ઘટનાઓ પ્રત્યે પોતાનાં આંખ-કાન બંધ કરી દીધા હતા.

પ્રેમનાથ ડોગરાના આહ્વાન પર ડો.મુખરજીએ ‘એક દેશમેં દો વિધાન,દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’ના નારા સાથે સવિનય પરમીટ પ્રથાનો ભંગ કરી,પરમીટ વગર જમ્મુ જવાનું જાહેર કર્યું. ૮મી મેં ૧૯૫૩ના રોજ તેમણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી તેમની યાત્રા ચાલુ કરી.શરૂઆતમાં તેમની પંજાબમાં જ ધરપકડ કરી લેવી તેવી સુચના આવી પરંતુ ફરીથી એવી સુચના આવી કે તેમને પરમીટ વગર કાશ્મીરમાં પ્રવેશ કરવા દેવો અને ત્યારબાદ કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ તેમની ધરપકડ કરવી.આ ઘટનાથી સ્પષ્ટ ખ્યાલ આવે કે તેમને ચતુરાઈથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવા દીધો અને ત્યારબાદ ત્યાંની સરકાર દ્વારા ધરપકડ કરાઈ જેથી આ મામલો ભારતના ઉચ્ચ ન્યાયાલયનાં અધિકાર ક્ષેત્રથી બહાર જતો રહે.જો તેમની ધરપકડ પંજાબમાં કરી હોત તો તેઓ આસાનીથી જામીન મેળવી છૂટી શક્યા હોત.

ધરપકડ બાદ ડો.શ્યામાપ્રસાદ મુખરજીને એક જીપમાં નિર્જન જગ્યાએ એક નાની એવી ઝૂંપડી જેવા ઘરમાં રાખવામાં આવ્યાં.ત્યાં તેમની તબિયત ખરાબ થઇ છતાં કોઈ યોગ્ય સારવાર પણ ના આપી. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને સાંસદ હોવા છતાં ડો.મુખરજીને સારવાર માટે વીઆઈપી વોર્ડને બદલે સગવડ વગરના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.અંતે ૨૩મી જુન ૧૯૫૩ના રોજ સંદિગ્ધ હાલતમાં તેમનું મૃત્યુ થયું.

ડો.મુખરજીના દિવંગત દીકરી સબીતા બેનરજીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે,તેમને તે સમયે દવાખાનામાં રહેલી નર્સ રાજદુલારી ટીક્કુએ જણાવ્યું હતું કે, મૃત્યુ પહેલાં ડો.મુખરજીને કોઈએક એવું ઇન્જેક્શન ડોક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું જેનાંથી તેઓ એવું બોલી રહ્યા હતા કે તેમને આખા શરીરમાં આગ જેવી બળતરા થઇ રહી છે.

આ બધી વિગતો પરથી એક વાત સ્પષ્ટ જણાય આવે છે કે ડો.મુખરજીનું મૃત્યુ કોઈ કુદરતી મૃત્યુ નહોતું.પરંતુ એક આયોજનબદ્ધ કાવતરું હતું.

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

કોટી કોટી વંદન

અલકેશ - अलकेश - Alkesh કહ્યું...

ખૂબ સરસ