બુધવાર, 5 ડિસેમ્બર, 2018

છાશવારે થતાં આંદોલનો દેશનેને ક્યાં લઇ જશે ??


જેમ જેમ ચુંટણી નજીક આવે તેમ તેમ નિતનવા લોકો પોતાને એકલાને જ જાણે દેશની ચિંતા હોય અને પોતે જાણે સર્વગુણ સંપન્ન હોય તેમ ક્યારેક ખેડૂતોના નામે તો ક્યારેક યુવાનોના નામે, તો ક્યારેક મહિલા,ક્યારેક દલિતોના નામે પોતાના પાંચ-પચ્ચીસ મળતીયાઓને લઈને નીકળી પડે છે.આ દરેક આંદોલનોમાં તમને એક ના એક લોકોજ દેખાશે.આ જ લોકો ક્યારેક ખેડૂતોનો વેશ ધારણ કરે છે, તો ક્યારેક દલિતોનો.વાસ્તવમાં જેનાં નામે આંદોલનોનો દેખાડો થાય છે તે વર્ગના લોકોનો તો તેમને સાથ હોતો જ નથી.આવા બહુરૂપિયા આંદોલનકારીઓને લોકો પણ હવે ઓળખી ગયા છે.

આજકાલ વિરોધપક્ષો પણ પોતાનો ધર્મ ભૂલી ગયા હોય તેવું લાગે છે.વિરોધ પક્ષો યોગ્ય મુદ્દા આધારિત નીતિ વિષયક બાબતોમાં વિરોધ કરવાને બદલે નાની અમથી એકાદ કોઈ ઘટનાને જ્ઞાતિ-જાતિનું લેબલ આપી તેને આંદોલનનું સ્વરૂપ આપવાની કુચેષ્ટા કરે તે ખરેખર સાચા દેશપ્રેમી માટે પીડાદાયક છે.૨૯ રાજ્યો,૭ કેન્દ્રશાશિત પ્રદેશો અને ૧૨૫ કરોડની વસ્તી ધરવતા દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ નાની મોટી અનિચ્છનીય ઘટનાઓ તો બનતી જ રહેતી હોય છે.સરકાર ગમે તે હોય આ ઘટનાઓની ઘટમાળ ચાલતી જ રહે છે.આવી ઘટનાઓમાં સંવેદનશીલતા દાખવી તેનો ઉકેલ લાવવાને બદલે દરેક વખતે રાજકીય તક શોધતા તકવાદી રાજકીય પક્ષો ભલી ભોળી જનતાને સતત તંત્ર વિરુદ્ધ અને સતા પક્ષ વિરુદ્ધ ખોટી રીતે ઉશ્કેરી તેણે ચાલાકીપૂર્વક આંદોલનનું સ્વરૂપ આપવાના હલકાં પ્રયત્નો કરે અને કેટલાંક કહેવાતા બુદ્ધિજીવીઓ તેને ટેકો આપી લોકોને દેશની શાસન વ્યવસ્થા સામે ખોટી રીતે ઉશ્કેરે ત્યારે સમજવું કે આપણો દેશપ્રેમ સતાની ગલીઓમાં ક્યાંક ખોવાઈ ગયો છે.

કોઈપણ આંદોલનની સફળતા મહદ અંશે તેના મુદ્દા પર આધારિત હોય છે.આંદોલનનો મુદ્દો જો સ્વકેન્દ્રી અથવા માત્ર રાજકીય હોય તો તેવા આંદોલનો ક્યારેય સફળ થતાં નથી.જનસામાન્યને સ્પર્શતો મુદ્દો હોય અને આંદોલનનું નેતૃત્વ કરનારાઓ પ્રમાણિક,શુદ્ધનિષ્ઠા અને દેશદાઝ ધરાવતા હોય તો એવાં આંદોલનો જનઆંદોલન બની જતા હોય છે.ગાંધીજીના નેતૃત્વમાં જે આંદોલનો થયા તેમાં જનભાગીદારી,સત્યતા અને ગાંધીજીનું અણીશુદ્ધ પ્રમાણિક વ્યક્તિત્વ હતું.પરિણામે દમનકારી અંગ્રેજોના અત્યાચારો સામે પણ લોકો ડગ્યા નહીં.તે જ રીતે નવનિર્માણ આંદોલનમાં પણ લોકનાયક જયપ્રકાશ જેવું નિષ્ઠાવાન નેતૃત્વ અને જનભાગીદારી હતી.તેથી જ ઇન્દિરા ગાંધી સરકારના અત્યાચારો અને આપખુદીભાર્યા સાશન સામે લોકો એકજૂટ થયા,આંદોલન સફળ થયું અને લોકશાહીને ગળેટૂંપો દઈ ને સરમુખત્યારશાહી સાશન ટકાવી રાખવાના મલીન ઈરાદાઓ નિષ્ફળ ગયા હતા.

આ બધા રાજકીય આંદોલનો હતા. તેની સાથે સમયે સમયે સામાજિક આંદોલનો પણ થયા.સમાજમાં ફેલાયેલી બદીઓ દુર કરવા માટે કોઈ સંનિષ્ઠ નેતૃત્વ બહાર આવે અને લોકોને તેની વાત સાચી લાગે ત્યારે આ સામાજિક આંદોલનો પણ જનઆંદોલનમાં પરિવર્તિત થતા હોય છે.આવા સામાજીક આંદોલનોમાં શાસક પોતે પણ જોડાતો હોય છે.શાસકનું વ્યક્તિત્વ જનતાને સ્પર્શી જાય અને તેના ઈરાદાઓ જનતાને શુદ્ધ જણાય તો લોકો આપોઆપ આંદોલનમાં જોડાય જાય છે.

ભારતમાં અગાઉની સરકારોએ સ્વચ્છતા માટેની અનેક ઝુંબેશો ચલાવી પરંતુ તેને સફળતા નહોતી મળતી તે માત્ર સરકારી કાર્યક્રમો જ  બની રહ્યા. પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટે લાલકિલ્લા પરથી સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી અને ૨જી ઓક્ટોબરે પોતે ઝાડુ લઇ સફાઈ કરી અને દેશવાસીઓને આહ્વાન કર્યું તે જનતાને સ્પર્શી ગયું. પરિણામે સ્વચ્છ ભારત અભિયાન જનઆંદોલન બની ગયું.તે જ રીતે શૌચાલય નિર્માણનું કાર્ય પણ જનઆંદોલન બની ગયું.

કોઈપણ આંદોલન જો દેશની સર્વાંગી ઉન્નતી અને જનસુખાકારી માટેનું હોય તો તેને વ્યાપક જનસમર્થન મળતું હોય છે.લોકો સ્વયંભુ જોડાતા હોય છે.પરંતુ જો આંદોલન પૈસા કમાવવા માટે કે પછી રાજકીય રોટલા શેકવાના બદઈરાદા સાથેનું હોય તો એ ટકી શકતું નથી.ભ્રષ્ટાચાર સામેના અન્ના હજારેના આંદોલનમાં જનતા ઉમટી પડી હતી પરંતુ તેમાંથી રાજકીય પક્ષનો જન્મ થયો ત્યારબાદ જનતા તેનાંથી દુર ખસી ગઈ.ગુજરાત,મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યોમાં છેલ્લાં ચાર વર્ષમાં એવા ઘણાં આંદોલનો થયા જેમાં વ્યક્તિગત સ્વાર્થ,કરોડોની કમાણી અને સત્તાની સાઠમારી ભળતી ગઈ અને આંદોલનકારીઓ વિપક્ષના પ્યાદા બની ગયા.જનતાને પણ અંતે છેતરાયાનો અહેસાસ થયો.આવાં તમામ આંદોલનો નિષ્ફળ પુરવાર થયા. પરંતુ દેશની જાહેર મિલકતોને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું તેનુ શું ? દેશની અને રાજ્યની આબરૂના વિદેશોમાં ધજાગરા થયા તેનુ શું ? હજારો માનવ કલાકોની બરબાદીથી દેશને થયેલું આર્થિક નુકશાન કોણ ભરપાઈ કરશે ?

આપ સૌને પણ વિનંતી છે કે ક્યારેય કોઈની ઉશ્કેરણીજનક વાતોમાં આવીને વગર વિચાર્યે કોઈ આંદોલનોમાં ન જોડાઈ ને શાંતિથી વિચાર કરવો કે શું આ મારા દેશ માટે,દેશની પ્રગતિ માટે આ યોગ્ય છે ?કોઈપણ પ્રશ્નના નિરાકરણ માટે શું આંદોલન એ જ ઉકેલ છે ? શું શાંતિથી વાટાઘાટો દ્વારા ઉકેલ ન લાવી શકાય ? સરકારે શું પગલાંઓ લીધા છે,તેનાં શું ફાયદાઓ છે,સમસ્યાનો યોગ્ય ઉકેલ શું છે ? વગેરે જેવી બાબતોનો વિચાર કરી આગળ વધવું જોઈએ.સચ્ચાઈ એ છે કે જયારે આપણે સૌ નીજીહિત છોડી દેશહિત માટે વિચારતાં થઈશું ત્યારે જ આપણે દેશવિરોધી પરિબળોને દેશવટો આપી શકીશું.ઉજ્જવળ ભારતના નિર્માણ માટે દેશની એકતા બહુમુલ્ય છે.કોઈપણ સંજોગોમાં આપણે સૌ આપણી એકતા અને દેશની અખંડીતતા જાળવી રાખીએ તે જ પ્રાર્થના. ભારત માતા કી જય.વંદેમાતરમ.

ટિપ્પણીઓ નથી: