રવિવાર, 18 જૂન, 2017

GST - વન નેશન - વન ટેક્સ - ભારતીય કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

GST - વન નેશન - વન ટેક્સ

ભારતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ટી.વી.,મીડિયા,સમાચારપત્રો તેમજ રાજકીય પાર્ટીઓના વચનોમાં પણ વારંવાર જીએસટી નો ઉલ્લેખ થતો આવ્યો છે.ઉદ્યોગકારો અને વેપારી વર્ગ પણ જીએસટી ક્યારે લાગુ થશે ? તેનાંથી ફાયદો થશે કે નુકશાન ? જીએસટી ની અમલવારી કરવી રોજીંદા વહેવારમાં સહેલી હશે કે કેમ ? વગેરે જેવા અનેક પ્રશ્નોને લઈને ચિંતિત હતો.પરંતુ હવે બધાના વર્ષોનાં ઇંતેજારનો અંત નજીક આવી ગયો છે.ભારતમાં જીએસટી લાગુ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જીએસટી ને સરળતાથી સમજાવવાનો આ લેખમાં નમ્ર પ્રયાસ કર્યો છે.

જીએસટી નું પુરુંનામ ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ છે.ગુજરાતીમાં તેને માલ અને સેવાઓ પરનો કર કહી શકાય.સમગ્ર દેશમાં ૧લી જુલાઈ ૨૦૧૭ થી જીએસટી લાગુ કરવા માટે હાલ સરકાર મક્કમ છે.જીએસટી નો થોડો ઈતિહાસ જોઈએ તો વિશ્વ સમક્ષ સૌ પ્રથમ વખત જીએસટી નો વિચાર ફ્રેંચ ટેક્સ ઓફિસરે ૧૯૫૦ માં રજુ કર્યો અને ફ્રાન્સે દુનિયામાં સૌ પ્રથમ વખત ૧૯૫૪ માં જીએસટી ની શરૂઆત કરી.આજે દુનિયાનાં લગભગ ૧૪૦ જેટલાં દેશોમાં જીએસટી અમલમાં છે.ભારતમાં સૌ પ્રથમ વખત ૨૦૦૦ ની સાલમાં વાજપેયી સરકારે જીએસટી માટે હિલચાલ શરૂ કરતા પશ્ચિમ બંગાળના તત્કાલીન નાણા પ્રધાન અસીમ દાસ ગુપ્તાના નેતૃત્વમાં જીએસટીની રૂપરેખા તૈયાર કરવા માટે સમિતી બનાવી હતી.ત્યારબાદ તેનો ઔપચારિક પ્રસ્તાવ તત્કાલીન નાણા પ્રધાન ચિદમ્બરમે ૨૦૦૬ ની બજેટ સ્પીચમાં રજુ કર્યો હતો.૨૦૦૭-૦૮ માં તત્કાલીન નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ બજેટ રજુ કરતા ૧ લી એપ્રીલ ૨૦૧૦ થી જીએસટી નો અમલ શરૂ થશે તેવી જાહેરાત કરી હતી.ત્યારબાદ જીએસટી બંધારણીય સુધારા ખરડો પણ પહેલી વખત ૨૦૧૧માં તેમણે જ દાખલ કર્યો હતો.૨૦૧૪માં મોદી સરકારે ભૂતકાળમાં કોંગ્રેસે રજુ કરેલા ખરડાને સુધારા સાથે રજુ કર્યો.આમ,જીએસટી માટે છેલ્લાં ૧૭ વર્ષોમાં અનેક સમિતિઓ બની,સુધારાઓ થયા,વિવાદો થયા,વિરોધો થયા અને અંતે ૨૦૧૬માં સંસદનાં બંને સદનમાં સર્વાનુમતે જીએસટી ખરડો પસાર થયો.

જીએસટી એટલે શું ?

નામ મુજબ - માલ અને સેવા પર લાગતો વેરો એવું સદી રીતે સમજી શકાય.જીએસટી નાં લાગુ થવાથી માલ અને સેવા પર જે આડકતરા અથવા તો પરોક્ષ વેરા લદાય છે તે નાબુદ થશે.આ વ્યવસ્થામાં માલ અને સેવાઓની ખરીદી ઉપર ચુકવવામાં આવેલ જીએસટી ને તેની આગળની સપ્લાય સમયે ચુકવવામાં આવનાર જીએસટી સામે એડજસ્ટ કરી દેવામાં આવે છે.વેટ અને વેચાણવેરામાં ખરીદ અને વેચાણનાં વ્યવહાર પર વેરો લાગે છે અને ઉત્પાદન પર એક્સાઈઝ ડ્યુટી લાગે છે.જ્યારે જીએસટી માં માલ અને સેવાઓના સપ્લાય પર વેરો લાગે છે.વેટ કે વેચાણવેરામાં વેચાણ અને ખરીદના વ્યવહાર ગણવાની અગત્યની શરતોમાં બે પક્ષકારો તેમજ માલની માલિકી વેચનાર પાસેથી ખરીદનારને તબદીલ થાય છે અને તેની સામે ખરીદનાર દ્વારા ચૂકવવાનો કિંમતી અવેજ અગત્યનો છે.જયારે જીએસટી માં સપ્લાય પર વેરો લાગે અને સપ્લાયની વ્યાખ્યા મુજબ તેમાં તમામ પ્રકારના સપ્લાયનો સમાવેશ થાય.જેમકે વેચાણ,ટ્રાન્સફર,બાર્ટર,એક્સચેન્જ,લીઝ,લાઇસન્સ,ભાડે આપવું કે કોઈપણ રીતે માલ કે સેવાઓનો અવેજનાં બદલામાં ધંધા દરમિયાન કે ધંધાના વિકાસ માટે નિકાલ કરવો.આમ,અહીં સપ્લાય માટે બે પક્ષકારનું હોવું કે માલિકીનું તબદીલ થવું જરૂરી નથી અને છતાં સપ્લાય ગણાશે અને તેના પર વેરો લાગશે.જીએસટી કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાના સપ્લાયના વ્યવહારમાં જો બંને પક્ષકારો એકબીજાના સબંધિત નાં હોય અને કિંમત જ સપ્લાય માટેનું અવેજ હોય ત્યારે વ્યવહાર માટે ચૂકવેલ કે ચુકવવાપાત્ર કિંમત સપ્લાયની કિંમત ગણાશે જેનાં પર વેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થશે.સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે સીધી કે આડકતરી રીતે જે કોઈ કિંમતની ચુકવણી થાય તે સપ્લાય કિંમત ગણાશે.સપ્લાયના વ્યવહાર સાથે સંકળાયેલ કોઈપણ કાર્યવાહી પેટે માલ કે સેવા પ્રાપ્ત કરનાર દ્વારા અથવા તો તે આપનાર દ્વારા જે કોઈ રકમ ચુકવાય કે મેળવાય તેનો સપ્લાયની કિંમતમાં સમાવેશ થશે.જો માલ કે સેવા મેળવનારે કોઈ માલ કે સેવા બીજાને પૂરી પડી હોય તો તેની કિંમત કે પછી તેને ચૂકવેલ રોયલ્ટી કે લાઈસન્સ ફી ની રકમનો પણ કિંમતમાં સમાવેશ થશે.સપ્લાયને લગતા આનુસાંગિક ખર્ચા પેટે ઉઘરાવેલ રકમ પછી તે સીધી હોય કે આડકતરી,તેનો પણ સમાવેશ સપ્લાયની કિંમતમાં થશે.જીએસટી સિવાયના અન્ય વેરા હોય તો તેનો પણ સમાવેશ કિંમતમાં થશે.ધંધાની સામાન્ય પ્રણાલી મુજબ ડિસ્કાઉન્ટ બિલમાં જઅપાયું હશે કે પછી વ્યવહાર વખતે જાણકારી હોય અને પછીથી બિલનાં સંદર્ભમાં અપાયું હશે,જેમ કે,ટર્નઓવર ડિસ્કાઉન્ટ,તો તે બાદ મળશે.પાછળથી કિંમતમાં ફેરફાર થતાં અપાતા ડિસ્કાઉન્ટની કપાત મળશે નહી.ટૂંકમાં એમ કહી શકાય કે સીધી કે આડકતરી રીતે મળવાપાત્ર તમામ રકમ પર વેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થશે.તેમજ હાલ એક્સાઈઝ ઉમેર્યા પછીની કિંમત પર વેટ લાગે છે પરંતુ જીએસટી માં એસજીએસટી અને સીજીએસટી બંને સમાન કિંમત પર લાગશે.આમ,વેરા પર વેરો લાગશે નહી.

જીએસટી નાં અમલ બાદ ત્રણ પ્રકારના ટેક્સ રહેશે.

1,CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી જેને કેન્દ્ર સરકાર વસુલશે.
2,SGST એટલે કે સ્ટેટ જીએસટી જેને રાજ્ય સરકાર વસુલશે.
3,IGST એટલેકે ઇન્ટીગ્રેટેડ સર્વીસ ટેક્સ જે બે રાજ્યો વચ્ચેનાં વેપારને લાગુ પડશે.

જીએસટી લાગુ થવાથી કયા કયા વેરાઓ નાબુદ થશે ?

૧, સેન્ટ્રલ એક્સાઈઝ
૨, એક્સાઈઝ અને કસ્ટમ પર લાગતી વધારાની ડ્યુટી
૩, કસ્ટમ પર લાગતી ખાસ વધારાની ડ્યુટી - એસએડી
૪, સર્વીસ ટેક્સ
૫, ગુડ્સ અને સર્વીસ ટેક્સ પર લાગતા સેસ અને સરચાર્જ
૬, વેટ
૭, સેન્ટ્રલ સેલ્સટેક્સ
૮, પરચેઝ ટેક્સ
૯, લક્ઝરી ટેક્સ
૧૦, એન્ટ્રી ટેક્સ
૧૧, મનોરંજન કર
૧૨, જાહેરાતો,લોટરી,જુગાર તથા બેટિંગ પર લાગતા ટેક્સ
૧૩, રાજ્યના સેસ અને સરચાર્જ

જીએસટી થી દેશને શું ફાયદો ?

જીએસટી લાગુ થવાથી ભારતનાં બિઝનેશ માળખામાં આમૂલ પરિવર્તન આવશે.અર્થતંત્રમાં તેજીનો સંચાર થશે જેનાંથી ભારતનાં જીડીપી માં દોઢ થી બે ટકાનો વધારો તાત્કાલિક જોવા મળશે તેમજ ભારતનું બે ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર 'એક કોમન બજાર' માં ફેરવાશે.ભારતની આંતરરાષ્ટ્રીય શાખ વધુ મજબુત થશે.ભારતમાં બિઝનેશ કરવો વધુ સરળ બનશે.ભારતીય ઉત્પાદનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ સ્પર્ધાત્મક બનશે.વેપારનાં વોલ્યુમમાં વધારો થાય.એક્સપોર્ટ માર્કેટમાં ભારતીય કંપનીઓની પ્રતિસ્પર્ધાની ક્ષમતા વધશે તેથી વિદેશી હુંડીયામણમાં વધારો થશે.સમગ્ર દેશમાં સમાન કરમાળખું હોવાથી વિદેશી રોકાણકારો,વિદેશી કંપનીઓ ભારતમાં તેનું રોકાણ વધારશે.જીએસટી નાં અમલથી સરકારની આવકોમાં પણ વધારો થશે જેથી દેશનાં વિકાસ કાર્યોમાં પણ ગતિ આવશે.આમ,લાંબાગાળે જીએસટીને લીધે ભારતીય અર્થતંત્ર વધુ મજબુત બનશે અને વિશ્વનાં અન્ય મોટાં અર્થતંત્રોને હંફાવશે.

જીએસટી થી ગ્રાહકોને શું ફાયદો ?

જીએસટી લાગુ થવાથી કેન્દ્ર અને રાજ્યનાં જુદાજુદા ૧૩ પ્રકારના વેરા લાગવાના બંધ થશે.હાલમાં અલગ - અલગ વસ્તુઓ અને સેવાઓ પર આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૩૦ થી ૩૫ ટકા જેટલો કર ચૂકવીએ છીએ.જયારે જીએસટી વ્યવસ્થા હેઠળ આ દર જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર ૦ ટકાથી લઇને અન્ય ચીજ વસ્તુઓ અને સેવાઓ પર ૫% , ૧૨% , ૧૮%  અને લક્ઝરી ચીજ વસ્તુઓ તેમજ સેવાઓ પર ૨૮% જેટલો રહેશે.તેમજ જીએસટી અંતર્ગત ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ પણ ઘટશે તેથી ક્રમશઃ કિંમતોમાં પણ ઘટાડો જોવા મળશે.એકંદરે મોંઘવારી ઘટશે અને ગ્રાહકોને ફાયદો થશે.

જીએસટી બીલના મુખ્ય મુદ્દાઓ :

૧, ઉદ્યોગકાર તેમજ વેપારીઓને વેરાની ચુકવણી માટે ડીજીટલ પેમેન્ટની સુવિધા.
૨, નોંધણી,રીટર્ન,પેમેન્ટ માટે કોમન પોર્ટલ,જીએસટી નેટવર્કની સુવિધા.
૩, SGST, CGST અને IGST એમ ત્રણેય ટેક્સ માટે કોમન એપ્લીકેશન અને કોમન રજીસ્ટ્રેશન ફક્ત ત્રણ જ       દિવસમાં મળી શકશે.
૪, કરદાતાએ ફક્ત વેચાણ એટલેકે સપ્લાયની જ વિગતો સીસ્ટમ પર અપલોડ કરવાની રહેશે,બાકીના              પત્રકોનાં ભાગ સીસ્ટમ દ્વારા આપો આપ અપલોડ થશે.
૫, જીએસટી સુવિધા પ્રોવાઇડર તથા જીએસટી રીટર્ન પ્રીપેરર કાયદાનું પાલન કરવામાં અને ઈ-સર્વિસમાં          પણ મદદરૂપ થશે.
૬, ક્રોસ એમ્પાવરમેન્ટ હેઠળ દોઢ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પૈકી ૯૦ ટકા વેપારીઓની          તમામ કામગીરી રાજ્ય હસ્તક રહેશે.
૭, વેટ માટે નોંધાયેલ વેપારીઓ આપોઆપ જીએસટી માટે નોંધાયેલા ગણાશે.
૮, છેલ્લાં દિવસે કલોઝિંગ સ્ટોકની વેરાશાખ જીએસટી હેઠળ મળવાપાત્ર છે.
૯, ૨૦ લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનાર માટે નોંધણી ફરજીયાત.
૧૦,પોતાને માટે ખેતી કરતાં ખેડૂતોને નોંધણીમાં મુક્તિ.
૧૧,આંતરરાજ્ય ખરીદીની વેરાશાખ મળવાપાત્ર
૧૨, નાના વેપારીઓ માટે ઉચ્ચકવેરો ભરવાની સુવિધા.
૧૩,નિકાસ અને એસઈઝેડ નાં વ્યવહારોમાં વેરા મુક્તિ.







ટિપ્પણીઓ નથી: