બુધવાર, 22 એપ્રિલ, 2015

જમીન સંપાદન વટહુકમ - ૨૦૧૪ એટલે ગામડાઓનો વિકાસ અને ખેડૂતોનું હિત

ભારતને અલ્‍પવિકસિત દેશમાંથી વિકસીત દેશ બનાવવાની દિશામાં ભાજપ સરકારનું મહત્‍વપૂર્ણ કદમ :


છેલ્લા ઘણા સમયથી સંસદમાં અને મીડીયામાં નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વવાળી એનડીએ સરકારે ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૪ ના રોજ સંસદમાં પસાર કરેલ જમીન સંપાદન વટહુકમ - ૨૦૧૪ વિશે જોરશોરથી ચર્ચાઓ ચાલે છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસ અને અન્‍ય પક્ષો દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ના કાયદામાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ખેડૂત વિરોધી છે. પરંતુ જો આપણે વાસ્‍તવિકતા તપાસીએ અને કાયદામાં થયેલા ફેરફારનો જો વિગતવાર અભ્‍યાસ કરીએ તો ખ્‍યાલ આવે છે કે જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪ એ ખેડૂતોના હિતમાં છે તેમજ તેના લીધે ગામડાઓનો વિકાસ થશે ગ્રામીણ યુવાનોને રોજગારી માટેના કાયમી પ્રશ્નોનો ઉકેલ આવશે અને ખેડૂત પરિવારો સમૃદ્ધ થશે.

જમીન સંપાદન કાનુન વિશે વાત કરીએ તો કેન્‍દ્રમાં જયારે કોંગ્રેસની સરકાર હતી અને દેશની સામાન્‍ય ચૂંટણીઓ નજીક આવતી હતી ત્‍યારે ભાજપ અને મોદી લહેરથી ગભરાઈ ગયેલી કોંગ્રેસ સરકારે ખેડૂતોની લાગણીઓ સાથે રમી તેનો રાજકીય લાભ ખાટવાના બદઈરાદાથી તાબડતોબ, કોઈપણ જાતના અભ્‍યાસ વગર ૨૦૧૩માં જમીન સંપાદન અધિનિયમ પસાર કર્યો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ૨૦૧૩ની સાલ સુધી ભારમાં બ્રીટીશ સરકારે બનાવેલો જમીન સંપાદન કાનુન ૧૮૯૪ મુજબ જ કાર્યવાહી થતી હતી. તો પહેલો સવાલ એ કે આઝાદી પછી દેશમાં મોટાભાગે કોંગ્રેસની સરકારે જ રાજ કર્યુ તો આટલા વર્ષોમાં કયારેય કોંગ્રેસને આ કાયદામાં સુધારો કરવાનુ કેમ ન સુઝ્‍યું? જમીન સંપાદનનાં ૧૮૯૪ના કાનુન મુજબ સરકાર કોઈપણ ખેડૂતની જમીન ગમે ત્‍યારે, કોઈપણ કિંમતે સંપાદન કરી શકતી હતી. આ કાયદા મુજબ દેશના ખેડૂતોને હળાહળ અન્‍યાય થતો આવ્‍યો છે. પરંતુ આઝાદીના ૬૬ વર્ષો વીતી ગયા. ખેડૂત સતત લૂંટાતો રહ્યો છતાં કોંગ્રેસને કયારેય ખેડૂતોના હિતનો વિચાર કેમ ના આવ્‍યો?

આજે જયારે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે. રોકાણના માહોલમાં પણ સુધારો આવ્‍યો છે. વૈશ્વિક રોકાણકારોને પણ ભારતની સરકાર પર વિશ્વાસ બેઠો છે ત્‍યારે દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે જૂના કાયદાઓમાં સમયાનુકુલ સુધારાઓ કરવા તેમજ ક્ષતિપૂર્તિ કરવી એ સરકારની જવાબદારી છે. કોંગ્રેસ સરકારે પસાર કરેલા જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ માં ઘણી ખામીઓ છે. અનેક રાજયોનાં કોંગ્રેસી મુખ્‍યમંત્રીઓ તેમજ તત્‍કાલીન કોંગ્રેસ સરકારના કેન્‍દ્રીય મંત્રીઓએ પણ આ કાયદાનો લેખિતમાં અનેક વખત વિરોધ કરેલ છે.

કોંગ્રેસે બનાવેલા આવા ખેડૂત વિરોધી કાયદામાં ફેરફાર કરી, વિકાસનાં સંકલ્‍પને આગળ ધપાવવા, ખેડૂતોનાં કલ્‍યાણ અને ગ્રામીણ વિકાસનાં લક્ષ્યને ધ્‍યાનમાં રાખી ભાજપ સરકારે ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ આવશ્‍યક સુધારાઓ સાથે જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪ પસાર કર્યો આ સુધારાઓ ખેડૂતોના હિત માટે છે તેમજ ગામડાઓને મુખ્‍ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરશે તેમ છતાં આ કાયદામાં હજુ પણ કંઈ ક્ષતિ રહી જતી હોય તો ખેડૂતોના હિત માટે તેમાં જરૂરી સુધારાઓ કરવા માટે પણ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તૈયારી દેખાડી છે. જે ખરેખર સાચા અર્થમાં લોકશાહીનું દર્શન કરાવે છે.
   * આ કાયદામાં ખેડૂતોના વળતરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્‍યો નથી. ખેડૂતોને જમીનની બજાર કિંમતનાં ચાર ગણા સુધીનું વળતર આપવામાં આવશે.
   * જે પરિવારની જમીનનું સંપાદન કરવામાં આવ્‍યુ હોય તેના ઓછામાં ઓછા એક સભ્‍યને રોજગારી આપવામાં આવશે.
   * જો નોકરી આપવામાં ન આવે તો પ્રત્‍યેક પરિવારને ૨૦ વર્ષ સુધી દર મહિને રૂ. ૨૦૦૦ (ફુગાવા વૃદ્ધિ સાથે) આપવામાં આવશે.
   * જમીન સંપાદન કાર્યવાહી દરમિયાન જો કોઈનું રહેણાંક મકાન જાય તો તે પરિવારને એક વર્ષ સુધી દર મહિને રૂ. ૩૦૦૦ નો નિર્વાહ ખર્ચ આપવામાં આવશે.
   * ખાનગી કંપનીઓને હોટલ, પ્રાઈવેટ સ્‍કુલ તથા પ્રાઈવેટ હોસ્‍પિટલ બનાવવા માટે કોઈ છૂટ આપવામાં આવી નથી.
   * ખાનગી કંપનીઓને જમીન સંપાદન માટે ૮૦ ટકા જમીન માલિકોની સંમતિ લેવી ફરજીયાત છે. તેમજ સામાજીક પ્રભાવનું મૂલ્‍યાંકન પણ કરાવવાનું રહેશે.
   ખેડૂતોને જમીન સંપાદન બાબતે પોતાની ફરીયાદો રજૂ કરવા  માટે ભાગ-દોડ નહિ કરવી પડે તેમની ફરીયાદો તે જ જીલ્લામાં સાંભળવામાં આવશે.
   
ખેડૂતોને ફાયદાઓ
   * ખેડૂતોનાં બાળકોને સ્‍કુલ કે કોલેજ જવા આવવા માટે રોજ લાંબી મુસાફરી કરવી પડે છે. તેના બદલે ગ્રામીણ ક્ષેત્રોમાં જ મોર્ડન સ્‍કુલ, કોલેજ તથા ઉચ્‍ચ શિક્ષણ માટેની સગવડતાઓ ઉભી કરવામાં આવશે.
   * દરેક ગામડાઓને પાકા માર્ગોથી રાજમાર્ગ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતો તેમના ઉત્‍પાદનો શહેરી વિસ્‍તાર સુધી આસાનીથી પહોંચાડી ઉચુ વળતર મેળવી શકે.
   * ગ્રામીણ ક્ષેત્રોમાં સરકાર દ્વારા આધુનિક સગવડતાઓ ધરાવતી હોસ્‍પિટલ ઉપલબ્‍ધ થશે જેથી ખેડૂત પરિવારોએ સારાવાર માટે શહેરમાં ધક્કા ખાવા નહિં પડે છે.
   * પાવર પ્‍લાન્‍ટના આયોજનની ગ્રામીણ ક્ષેત્રોમાં ૨૪ કલાક ગુણવતાયુકત વિજળી ઉપલબ્‍ધ થશે જેની ખેતીની ઉત્‍પાદનક્ષમતા પણ વધશે અને ખેડૂતોની જીવનશૈલીમાં પણ સુધારો થશે.
   * મુખ્‍ય તેમજ લઘુ સિંચાઈ યોજનાઓ જેમ કે, ડેમ, ચેકડેમ, પાઈપલાઈન, પપીંગ સ્‍ટેશન, વગેરે યોજનાઓ ઝડપથી પૂર્ણ થશે અને તેના વિલંબને કારણે થતી કઠણાઈથી મુકિત મળશે તેમજ સિંચાઈની સગવડતાને લીધે ખેડૂતો વધુ સમૃદ્ધ થશે.
   * રાજમાર્ગ અથવા રેલ્‍વેલાઈનની બંને બાજુ માત્ર એક કિલોમીટરનાં વિસ્‍તારમાં ઔદ્યોગિક કોરીડોર સ્‍થાપિત થઈ શકશે. જેમાં જમીન માલિકી સરકારની જ રહે છે. તેના દ્વારા ગ્રામીણ યુવાનો માટે સરકારની જ રહે છે. તેના દ્વારા ગ્રામીણ યુવાનો માટે તેના જ વિસ્‍તારમાં રોજગારીનું સર્જન થશે અને તેઓને પૈસા કમાવવા શહેરમાં રહેવા જવુ નહિ પડે.
   * ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓના વિકાસની ખેડૂતોની જમીનનાં મુલ્‍યમાં પણ વૃદ્ધિ થશે.
   * કોઈપણ ગામડું પછાત નહિ રહે. દરેક ગામડાઓ શહેર જેવી જ સુખ - સુવિધા થતા રોજગારી ધરાવતા બનશે.
   આમ જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪એ ખેડૂતો માટે આર્શીવાદ સમાન બની રહેશે. ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ રોજગારીને નવી ઉંચાઈએ લઈ જશે તેમાં કોઈ બે મત નથી. ખેડૂતોએ તેમને ગેરમાર્ગે દોરનારા તત્‍વોથી ચેતવુ જોઈએ. આઝાદી પછીના આટલા વર્ષોમાં કોંગ્રેસ સરકારોએ દેશના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. હવે જયારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં જૂના કાયદાઓમાં સુધારા કરી રહી છે ત્‍યારે ફરી એકવાર કોંગ્રેસ અન્‍ય પક્ષો સાથે મળી ખેડૂતોનું હિત બાજુએ મુકી ફકત પોતાનું રાજકીય હિત સાધવા માટે દેશભરના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે ત્‍યારે દેશના ભલા - ભોળા ખેડૂતોએ આવા ખેડૂત વિરોધી તત્‍વોને ઓળખી લેવા જોઈએ.



2 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

Nice Blog.. I Love This... Author Ajay Rathod

Unknown કહ્યું...

Good but imminent very hard all government corrupted