રવિવાર, 29 માર્ચ, 2020

૧૯૪૭માં રચાયેલી ભારતની પ્રથમ સરકાર વિષે જાણો.

આપણો દેશ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદ થયો.આઝાદી બાદ ભારતમાં વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું.આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રીને તો સૌ કોઈ જાણે છે.પરંતુ પ્રથમ મંત્રીમંડળમાં કોણ કોણ હતું ? આ સરકાર કેટલો સમય ચાલી ? વચગાળાની સરકાર શા માટે બનાવી ? વગેરે બાબતો જાણવા ઈચ્છતા હો તો આખો લેખ વાંચવો રહ્યો.

અંગ્રેજોએ ભારત છોડતાં પહેલા જ ૧૯૪૬માં બહુ ઓછા અધિકારીઓ સાથેની એક સરકારનું ગઠન કરી દીધું હતું.અંગ્રેજોના ગયા પછી જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં ભારતની વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું.આ સરકારે ભારતનો પાયો મજબુત બનાવવાનું કામ કરવાનું હતું. એકરીતે આ સરકાર બધી પાર્ટીઓની સરકાર હતી.આ સરકારની કેબિનેટમાં કોંગ્રેસ પક્ષ સિવાયનાં પણ અન્ય પક્ષોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


પ્રથમ કેબીનેટ:
૦૧, જવાહરલાલ નેહરુ – પ્રધાનમંત્રી
૦૨, સરદાર વલ્લભભાઈ પટેલ – ગૃહ તેમજ સુચના પ્રસારણ મંત્રી
૦૩, અબ્દુલ કલામ આઝાદ – શિક્ષણમંત્રી
૦૪, ડો.રાજેન્દ્ર પ્રસાદ – કૃષિમંત્રી
૦૫, સરદાર બલદેવસિંહ – રક્ષામંત્રી
૦૬, જોન મથાઈ – રેલમંત્રી
૦૭, આર.કે.શણમુખમ – નાણામંત્રી
૦૮, ડો.બી.આર.આંબેડકર – કાયદામંત્રી
૦૯, જગજીવન રામ – શ્રમમંત્રી
૧૦, સી.એચ.ભાભા – વાણીજ્યમંત્રી
૧૧, રાજકુમારી અમૃત કૌર – આરોગ્યમંત્રી
૧૨, રફી અહમદ કીડવાઈ – સંચારમંત્રી
૧૩, ડો.શ્યામાપ્રસાદ મુખરજી – ઉદ્યોગમંત્રી
૧૪, વી.એન.ગાડગીલ – ઉર્જા અને ખાણમંત્રી


પ્રથમ સરકારના મુખ્ય કાર્યો :

દેશ આઝાદ થયો ત્યારે દેશ સામે અનેક પડકારો હતા.અંગ્રેજો માનતા હતા કે આધુનિક લોકતંત્રને અપનાવી શકે તેટલી યોગ્યતા ભારતના લોકો ધરાવતા નથી અને થોડાં સમયમાં જ બધું ભાંગી પડશે.પરંતુ એમ ના થયું.પ્રથમ સરકારે જે મુખ્ય કાર્યો કર્યા તે આ પ્રમાણે છે.

૦૧, દેશનાં એકીકરણ વખતે દેશના ૫૬૫ રજવાડાંઓને એક કરવાનું કામ બહુ જટિલ અને પડકારરૂપ હતું.ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ મોટાભાગના રજવાડાંઓને સમજાવવામાં સફળ રહ્યાં. પરંતુ હૈદરાબાદ અને જુનાગઢનો પ્રશ્ન જટિલ હતો.અંતે સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને બહાદુરીને લીધે આ બંને રાજ્યો પણ ભારતમાં સામેલ થઇ ગયા.
૦૨, આઝાદી વખતે દેશનું વિભાજન થઇ ચુક્યું હતું.દેશમાં બહુ મોટી સંખ્યામાં પાકિસ્તાનથી લોકો ભારત આવી રહ્યા હતા. તેઓના વસવાટ માટેનું કાર્ય કરવામાં આવ્યું.ઘણાં શહેરોને વસાવવામાં આવ્યા.
૦૩, દેશનું સંવિધાન બનાવવાનું કાર્ય ઝડપભેર આગળ વધારવામાં આવ્યું.
૦૪, દેશભરમાં ચાલી રહેલા કોમી તોફાનોને શાંત પાડવાનું કાર્ય કરવામાં આવ્યું.
૦૫, દેશમાં ચાલી રહેલા ઉદ્યોગ-ધંધાઓનો સર્વે કરાવવામાં આવ્યો.
૦૬, લોકશાહી પ્રત્યે લોકોની શ્રધ્ધા વધે તે માટે જનજાગરણ અભિયાન ચલાવવામાં આવ્યું.
૦૭, ૧૯૫૨માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજવા માટેનું વાતાવરણ બનવવામાં આવ્યું.

પ્રથમ સરકારના ખોટાં નિર્ણયો :

દેશની પ્રથમ સરકારે અમુક સારાં નિર્ણયો લીધા તો ઘણાં ખોટા નિર્ણયો પણ લેવાયા. જેની રાષ્ટ્રીયકક્ષાએ અનેક વખત આલોચના પણ થઇ છે અને જેનાં દુષ્પરિણામ દેશે વર્ષો સુધી ભોગવ્યા છે.

૦૧, ભારતની કાશ્મીર નીતિ – કાશ્મીરના એકીકરણની જવાબદારી વડાપ્રધાન નેહરુએ પોતે સંભાળી હતી પરંતુ શેખ અબ્દુલ્લા પરિવાર પ્રત્યેના પોતાના પ્રેમ-લાગણી અને મતબેંકના રાજકારણને કારણે કાશ્મીરનીતિમાં જાણી જોઇને અનેક ગંભીર ભૂલો કરવામાં આવી હતી.કાશ્મીર સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવી,કાશ્મીર માટે અલગ કાયદો વગેરે જેવી તેમની ભૂલોને હમણાં સુધી દેશ ભોગવતો રહ્યો.

૦૨,વિદેશનીતિ બાબતે પણ પ્રથમ સરકારની આલોચના આજ સુધી થતી રહી છે.

૦૩,અંગ્રેજોના ગયા પછી પણ અંગ્રેજી કાર્યપ્રણાલી જાળવી રાખવાની બાબતની પણ આલોચના થતી રહી છે.

૦૪,મતબેંક તથા તુષ્ટિકરણની રાજનીતિને લીધે શરૂઆતથી જ બહુમતી હિંદુ સમાજના હિતોની અવગણના.

પ્રથમ સરકાર અને વિવાદો :

પ્રથમ સરકારના ગઠનનું જટિલ કાર્ય ગાંધીજીની દેખરેખ નીચે થયું હતું.જેમાં બધાં પ્રકારના,બધાં વર્ગના લોકોને સ્થાન આપવાનો પ્રયત્ન થયો હતો.આ સરકારમાં વિદેશી જ્ઞાનથી પરિપૂર્ણ નેહરુજી હતા તો વહીવટી કુશળ અને પ્રખર દેશહિત ચિંતક સરદાર પટેલ પણ હતા.કાયદા સાથે અર્થનીતિના પણ નિષ્ણાંત એવાં ડો.આંબેડકર હતા તો વિચક્ષણ બુદ્ધિક્ષમતા ધરાવતાં પ્રખર રાષ્ટ્રવાદી શિક્ષણવિદ ડો.શ્યામાપ્રસાદ મુખરજી જેવા નેતા પણ મંત્રીમંડળમાં સામેલ હતા.તેમ છતાં પ્રથમ સરકારમાં શરૂઆતથી જ અનેક પ્રકારનાં વિવાદોએ પણ જન્મ લીધો હતો.

૦૧,શરૂઆતથી જ અનેક નીતિવિષયક બાબતોમાં નેહરુ અને સરદાર પટેલ વચ્ચે મતભેદો થયાં.અનેક વખત બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.ગાંધીજીની મધ્યસ્થી દ્વારા સરખું કરવાના પ્રયાસો થતાં.

૦૨,નેહરુ સરકારની કાશ્મીર અંગેની નીતિઓ તેમજ તુષ્ટિકરણની રાજનીતિ સામે સવાલ ઉઠાવી દેશહિત માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.ત્યારબાદ કાશ્મીરની પરમીટપ્રથાના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું રહસ્મય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

૦૩,બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે પણ અનેક મુદ્દાઓ પર નેહરુ સરકારની બેધારી નીતિઓનો વિરોધ કર્યો હતો.

આમ,અનેક વિવાદો વચ્ચે ભારતની વચગાળાની સરકારનો કાર્યકાળ પૂરો થયો અને ૧૯૫૨માં સામાન્ય ચૂંટણીઓનું આયોજન થયું.

શનિવાર, 28 માર્ચ, 2020

અવિભાજીત ભારતના પ્રથમ વડાપ્રધાન નેતાજી સુભાષચન્દ્ર બોઝના નેતૃત્વમાં રચાયેલી આઝાદ હિન્દ સરકાર - ૨૧ ઓક્ટોબર ૧૯૪૩

આઝાદ હિન્દ સરકારની ૭૫મી વર્ષગાંઠ નિમિતે ૨૧,ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલકિલ્લા પર તિરંગો લહેરાવી ‘આઝાદ હિન્દ સરકાર’ના સ્મરણાંજલી કાર્યક્રમની ઉજવણી કરી હતી.ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે કે આઝાદી પહેલાં હિન્દુસ્તાનની પ્રથમ કામચલાઉ સરકારનું ગઠન ૨૧,ઓક્ટોબર,૧૯૪૩ના રોજ સિંગાપુર ખાતે કરવામાં આવેલું હતું. જેનાં પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી સુભાષચન્દ્ર બોઝે શપથ લીધા હતાં. જર્મની, જાપાન, ફિલીપાઈન્સ, કોરિયા, ચીન, ઇટાલી, માન્ચુકો તથા આયર્લેન્ડ જેવાં દેશોએ આઝાદ હિન્દ સરકારને માન્યતા પણ આપી દીધી હતી.આઝાદ હિન્દ સરકારે પોતાની એક બેંક પણ ઉભી કરી હતી.જેનું નામ હતું આઝાદ હિન્દ બેંક.તેનાં દ્વારા ૧૦ રૂપિયા થી લઇને એક લાખ રૂપિયા સુધીની ચલણી નોટ પણ બનાવવામાં આવી હતી.આઝાદ હિન્દ સરકારે પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડી હતી. 
આઝાદ હિન્દ સરકારની પોતાની આર્મી પણ હતી જેનું નામ હતું આઈ.એન.એ.(ઇન્ડીયન નેશનલ આર્મી) જેમાં ૮૫,૦૦૦થી વધુ સૈનિકો હતાં.આ ફૌજ બનાવવામાં જાપાને ખુબ સહયોગ કર્યો હતો.જાપાને બંદી બનાવેલા લોકો તેમજ બર્મા,મલાયામાં રહેતા ભારતીય સ્વયંસેવકો તથા ભારત બહાર રહેતા રાષ્ટ્રપ્રેમી લોકો આ ફૌજમાં જોડાયા હતા.આ સૈન્યની મહિલા પાંખ પણ હતી જેનાં કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથન હતાં.ઇન્ડીયન નેશનલ આર્મીએ બર્માની સીમા પર અંગ્રેજો સામે જોરદાર લડાઈ લડી હતી.અંદાજે ૨૬૦૦૦ જેટલાં સૈનિકોએ દેશની આઝાદી માટે શહીદ થયાં હતાં.
સૌ પ્રથમ આઝાદ હિન્દ ફૌજે ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓને બ્રિટીશ ગુલામીમાંથી મુક્ત કર્યા અને ૩૦ ડીસેમ્બર,૧૯૪૩ના રોજ ત્યાં તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજે મણીપુર પર હુમલો કરી મણીપુરને બ્રિટીશ શાસનમાંથી આઝાદી અપાવી અને ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ આઈ.એન.એ.ના કર્નલ સૌકતઅલીએ મણીપુરના મૈરાંગમાં તિરંગો ફરકાવ્યો હતો.આ સફળતા બાદ આઝાદ હિન્દ સૈન્યનો જુસ્સો આસમાને હતો અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે ફૌજ આગેકુચ કરી રહી હતી.ત્યારે નાગાલેન્ડના કોહિમા ખાતેની લડાઈમાં અંગ્રેજો સામે હાર થઇ અને સાડા ત્રણ મહિના બાદ ફરી મણીપુર પર બ્રિટીશરોએ કબજો કર્યો હતો.
નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજાશ્રી ચંદ્રકુમાર બોઝે તેમના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,જો મૈરાંગની લડાઈમાં કેટલાંક કોંગ્રેસી નેતાઓએ બ્રિટીશ સરકારને સાથ આપ્યો ન હોત તો આઝાદ હિન્દ ફૌજ દિલ્હી સુધી પહોંચી ગઈ હોત.
સિંગાપુર સરકારનાં વિભાગ ‘નેશનલ આર્કાઇવઝ ઓફ સિંગાપુર’ દ્વારા તેમની વેબસાઈટ પર ‘હિસ્ટોરિકલ જર્ની ઓફ ઇન્ડીયન નેશનલ આર્મી’ નામથી એક વિભાગ બનાવ્યો છે.જેમાં તે સમયના ફોટોગ્રાફ્સ,ટાઇમલાઈન તેમજ અન્ય તમામ માહિતીઓ પણ ઉપલબ્ધ છે. https://www.nas.gov.sg/archivesonline/online_exhibit/indian_national_army/index.htm
નેતાજી સુભાષચન્દ્ર બોઝ – ‘તુમ મુજે ખૂન દો,મેં તુમ્હે આઝાદી દુંગા’
સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો.તેઓ બાળપણથી જ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.૧૯૧૮માં તેઓએ પ્રથમ શ્રેણી સાથે દર્શનશાસ્ત્રમાં બી.એ.પૂર્ણ કર્યું હતું.તેમના પિતાની ઈચ્છા મુજબ તેઓ ૧૯૨૦માં આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથા નંબર સાથે ઉતીર્ણ થયાં હતાં.પરંતુ અંગ્રેજોને આધીન રહી કામ કરવું તેઓને મંજુર નહોતું.૨૨ એપ્રિલ ૧૯૨૧ના રોજ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.૧૯૩૦ના દશકાના અંત સુધીમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા બની ગયા હતા.
સુભાષચન્દ્ર બોઝ દેશના એ મહાનાયકોમાંના એક છે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.તેમનાં સંઘર્ષ તથા અપ્રતિમ દેશપ્રેમના કારણે જ મહત્મા ગાંધીએ તેમને ‘દેશભક્તોથી પણ ચડિયાતા દેશભક્ત’ના વિશેષણથી નવાજ્યા હતા.
૧૯૩૦ થી ૧૯૪૧ દરમિયાન તેમની આઝાદીની ચળવળોને કારણે ૧૧ વખત તેઓને જેલની સજા થઇ.સૌ પ્રથમ ૧૬,જુલાઈ ૧૯૨૧ના તેઓને ૬ મહિનાના કારાવાસની સજા થઇ હતી.૧૯૪૧માં એક કેસના સંદર્ભમાં તેમણે કલકતાની અદાલતમાં રજુ થવાનું હતું ત્યારે તેઓ અંગ્રેજોની નજરમાંથી છટકી જર્મની જતાં રહ્યા હતા.જર્મનીમાં તેમણે હિટલર સાથે પણ મુલાકાત કરી હતી.બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં સુભાષચન્દ્ર બોઝે સોવિયતસંઘ,જર્મની,જાપાન સહીત ઘણાં દેશોની મુલાકાત કરી હતી.તેમની આ યાત્રાઓનો હેતુ આ બધા દેશો સાથેનું ગઠબંધન વધુ મજબુત કરવાનો હતો.
દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ વીર યોધ્ધાનું ૧૮,ઓગષ્ટ ૧૯૪૫ના રોજ તાઇવાન ખાતે એક વિમાન દુર્ઘટનામાં તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

શુક્રવાર, 27 માર્ચ, 2020

જવાહરલાલ નેહરુ નહોતાં ઈચ્છતા કે આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સમાવેશ થાય.

આ લેખનું ટાઈટલ વાંચીને કેટલાંકને આંચકો જરૂર લાગશે.પરંતુ આ વાત સાચી એટલે માનવી પડે કે, તાજેતરમાં જ સરદાર પટેલના છેલ્લાં શ્વાસો સુધી તેમની સાથે રહ્યાં અને તેમના વિશ્વાસુ રાજકીય અંગત સચીવ તરીકે તમામ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેવા સ્વર્ગસ્થ વી.પી.મેનનનાં પ્રપૌત્રી નારાયણી બાસુએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ‘વી.પી.મેનન –ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા’.આ પુસ્તકમાં નારાયણી બસુએ પુરાવાઓ સાથે લખ્યું છે કે,૧૯૪૭માં ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં નેહરુ દ્વારા પ્રથમ કેબીનેટમંત્રીઓની જે સૂચિત યાદી બનવવામાં આવી હતી તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નહોતું.

નારાયણી બાસુ ના જણાવ્યાં મુજબ ‘’જયારે વી.પી.મેનનને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ લોર્ડ માઉન્ટબેટન પાસે ગયા અને પોતાનો વિરોધ વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું કે આ સરદારસાહેબને અન્યાય છે.જો આવું થશે તો કોંગ્રેસના ભાગલા થતાં પણ વાર નહીં લાગે.'' 

''આ વાત સાંભળી માઉન્ટબેટન તુરંતજ ગાંધીજી પાસે ગયા અને અંતે ગાંધીજીના કહેવાથી પ્રથમ કેબીનેટ લીસ્ટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.’’

નારાયણી બાસુએ ઉપરોક્ત વાતને સમર્થન આપતા અનેક આધારભૂત પુરાવાઓ પણ પુસ્તકમાં રજુ કર્યા છે.જેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી અને તંત્રી એચ.વી.હડસન અને માઉન્ટબેટનના પત્ર વ્યવહારો તથા તેમના દ્વારા ૧૯૬૯માં લિખિત પુસ્તક ‘ધ ગ્રેટ ડીવાઈડ:બ્રિટન,ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’નો આધાર પણ રજુ કર્યો છે જેમાં ઉપરોક્ત વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

ભારતની બંધારણસભાના સભ્ય,વિખ્યાત વકીલ,લેખક,કેળવણીકાર અને ચિંતક શ્રી કનૈયાલાલ મુનશી લિખિત પુસ્તક ‘પીલ્ગ્રીમેજ ટુ ફ્રીડમ’ માં પણ નેહરુના સરદાર પટેલ પ્રત્યેના અણગમાનો અનેક વખત ઉલ્લેખ થયો છે.આ પુસ્તકમાં જણાવ્યાં મુજબ ‘‘નેહરુએ સરદાર પટેલની અંતિમયાત્રામાં કોઈપણ મંત્રીઓ મુંબઈ ના જાય તેવો આદેશ બહાર પડ્યો હતો,એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને પણ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમયાત્રામાં સામેલ ન થવા વિનંતી કરી હતી.’’

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના વંશજો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના વારસદારોને અનેક વખત અન્યાય થયો છે.આઝાદી પછીના છેક ૪૧માં વર્ષે બિનકોંગ્રેસી સરકારે સરદાર વલ્લભભાઈ પટેલને મરણોતર ભારતરત્ન એવોર્ડ આપ્યો જયારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પોતે જાતે જ પોતાનું નામ ભારતરત્ન માટે રાષ્ટ્રપતિને મોકલ્યું અને ૧૫ જુલાઈ ૧૯૫૫ના દિવસે તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા.તેવી જ રીતે ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીને અને ૧૯૯૧માં રાજીવ ગાંધીને પણ ભારતરત્નનો ખિતાબ આપી દેવામાં આવ્યો હતો.

પોતાની આગવી સુઝબુઝ,રાજકીય કુનેહ અને અદભુત સંગઠનશક્તિ વડે જેમણે ૫૬૫ રજવાડાંઓને ભારતમાં સામેલ થવા રાજી કર્યા તેવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અને તેમના પરિવારને નેહરુ અને તેમના વંશજોએ કરેલા સતત અન્યાય અને અપમાનના આવા તો અનેક પુરાવાઓ છે.

બુધવાર, 25 ડિસેમ્બર, 2019

નાગરિકતા સંશોધન વિધેયક : વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.


તાજેતરમાં જ સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થયું અને સંસદની બહાર તેનાં પર રાજનીતિ શરુ થઇ.આપણાં દેશની કરુણતા એ છે કે સતાપક્ષના દરેક નિર્ણયોને વિરોધપક્ષો માત્ર વોટબેંકનાં ચશ્માથી જ જુએ છે,ચૂંટણીમાં ફાયદા-ગેરફાયદાના ગણિતમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પોતાનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ પણ ભૂલી ગયા હોય તેવું હવે સ્પષ્ટ દેખાઈ આવે છે.નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ એ માનવતાનો વિરોધ છે,કરુણાનો વિરોધ છે,દયાભાવનો વિરોધ છે અને ‘વસુંધેવ કુટુંબકમ’ની વિભાવનાનો વિરોધ છે.નાગરિકતા સંશોધન વિધેયકનો નિર્ણય તો દેશના ફાયદા-ગેરફાયદાથી પણ ઉપર ઉઠીને મનુષ્યધર્મ બજાવવા માટેનો એક સંવેદના સભર નિર્ણય છે.આ નિર્ણય દ્વારા ખરેખર ભારતે તેનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ નિભાવ્યો છે.

આપણાં પૂર્વજોએ કહ્યું છે કે ‘સર્વેપી સુખિનઃ સન્તુ’,’હવઈ સબ્બ મંગલમ’ કે ‘સરબત દા ભલા’.અને એટલા માટે જ જયારે આપણાં પાડોશી મુસ્લિમદેશોમાં અલ્પસંખ્યકો પર અમાનુષી અત્યાચારો થતાં હોય,બહેન-દીકરીની ઈજ્જત લુંટાતી હોય ત્યારે રાજકીય લાભ-ગેરલાભ બાજુએ મુકીને માનવતાની રુએ ભારતની ફરજ છે કે આવાં લોકોને આશ્રય આપે અને માનવ ગરિમાનું રક્ષણ કરે. ભારત એ માત્ર કોઈ એક ભૌગોલિક ભૂભાગ નથી.ભારતની ભૂગોળ તો બદલાતી રહી છે. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે. હિંદુત્વ,હિન્દુસ્તાન આ બધા ભારતના સમાનાર્થી શબ્દો છે.સૌને સાથે લઈને ચાલવું તથા સમગ્ર વિશ્વનું કલ્યાણ એ જ ભારતનો સ્વભાવ છે.

નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા કાયદો, ૧૯૫૫ માં સુધારો કરવામાં આવ્યો છે.આ વિધેયકને ૧૯ જુલાઈ ૨૦૧૬ના લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું અને ૧૨ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું.આ સમિતિએ ૭ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે તેનો રીપોર્ટ સોંપ્યો અને બીજે જ દિવસે એટલે કે, ૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આ વિધેયક લોકસભામાં પાસ થયું પરંતુ તે વખતે રાજ્યસભામાં આ વિધેયક રજુ થયું નહોતું તેથી ફરીથી તેને સંસદના બંને ગૃહમાં રજુ કરવામાં આવ્યું અને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.

આ મુદ્દે સંસદમાં ચર્ચાઓ કરવાને બદલે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા દેશનાં મુસ્લિમોને તથા પૂર્વોતર રાજ્યોના લોકોને ગેરમાર્ગે દોરી  દેશમાં અંધાધુંધી ફેલાવી પોતાના રાજકીય રોટલાં શેકવા માટેના હીન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે નિંદનીય છે.વાસ્તવમાં આ વિધેયક કોઈની પણ નાગરિકતા છીનવી લેવા માટે નથી પરંતુ નાગરિકતા આપવા માટેનું વિધેયક છે.દેશમાં રહેતા કોઈપણ ધર્મ,સમાજ કે પ્રદેશના લોકોની નાગરિકતા છીનવી લેવાની કોઈ જ વાત આ વિધેયકમાં નથી માત્ર ને માત્ર પાડોશી મુસ્લિમ બહુસંખ્યક દેશ અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલાં અને ધાર્મિક આધાર પર પીડિત-શોષિત હિંદુ,શીખ,બૌદ્ધ,જૈન,પારસી અને ઈસાઈ ધર્મોના શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી રહે અને તેઓ ભારતમાં સન્માનપૂર્વક સલામત જીવનનિર્વાહ કરી શકે તે માટેના નિયમો સહેલા બનાવ્યા છે.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા વખતે ધર્મના આધાર પર પાકિસ્તાનની રચના થઇ ત્યારથીજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતાં બિનમુસ્લિમ સમુદાયો પર અત્યાચારો ચાલુ થઇ ગયા હતા.ધાર્મિક આધાર પર હત્યાઓ,જબરદસ્તી ધર્મ પરિવર્તન,મહિલાઓ પર અત્યાચાર આવી ઘટનાઓ આ દેશોમાં સામાન્ય બની ગઈ હતી.૧૯૪૭માં પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા ૨૩% હતી જે ૨૦૧૧માં ઘટીને માત્ર ૩.૭% થઇ ગઈ છે.હ્યુમન રાઈટ્સ વોચના એશિયા ડીવીઝનના ડીરેક્ટર બ્રેડ એડમ્સના કહેવા મુજબ પાકિસ્તાનમાં દરવર્ષે લગભગ ૧૦૦૦ જેટલી ગરીબ હિંદુ મહિલાઓનાં જબરદસ્તી ધર્મપરિવર્તન થાય છે.UNHRC ના રીપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માત્ર ૨૦ મંદિરોમાં જ પૂજા થાય છે.બાંગ્લાદેશમાં પણ મહિલાઓ પર બળાત્કાર,ધર્મપરિવર્તન,હત્યાઓ જેવાં હજારો કિસ્સાઓ બન્યા છે.અલ્પસંખ્યકોની વસ્તી બાંગ્લાદેશમાં ૨૨% હતી જે ઘટીને માત્ર ૭.૮% થઇ ગઈ છે.અફઘાનિસ્તાનમાં ૧૯૯૨ સુધી અંદાજે ૨ લાખ હિંદુઓ અને શીખ હતા જે હવે ફક્ત ૫૦૦ જેટલાં રહ્યાં છે.બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નો રાજધર્મ મુસ્લિમ છે ત્યાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર કોઈ તકલીફ નથી પરંતુ બીનમુસ્લિમો કે જે અલ્પસંખ્યક છે તેઓ પર ધાર્મિક આધાર પર અત્યાચાર ચરમસીમાએ છે.આવી સ્થિતિમાં આ દેશોમાં રહેતા અલ્પસંખ્યકો ક્યાં જાય ? આ લોકોને આશરો આપવાની શું આપણી ફરજ નથી ?

૨ એપ્રિલ ૧૯૫૦ના જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી લીયાકતઅલી ખાન વચ્ચે દિલ્હીમાં કરાર થયો હતો તે મુજબ બંને દેશોના અલ્પસંખ્યકોની સુરક્ષા જળવાય તેમજ સાંપ્રદાયિક સદભાવ અને શાંતિનો માહોલ બની રહે તે માટે બંને દેશોએ પ્રતિબધ્ધતાપૂર્વક કાયદો-વ્યવસ્થા ઉભી કરવી અને તેમનું રક્ષણ કરવું તેવું નક્કી થયું હતું.ભારતે આ કરારનું સંપૂર્ણ પાલન કર્યું તેનાં પરિણામે ૧૯૫૧માં ભારતમાં ૯.૮% મુસ્લિમો હતા જયારે આજે લગભગ ૧૪.૨૩ % વસ્તી મુસ્લિમોની છે.ભારતમાં હિન્દુઓની સંખ્યા ૧૯૯૧માં ૮૪% હતી જે આજે ઘટીને ૭૯% થઇ ગઈ છે.સચ્ચર કમિટીના રીપોર્ટ મુજબ બીજા દેશોની તુલનામાં ભારતના મુસ્લિમો વધુ સુખી અને સમૃદ્ધ છે.ભારતમાં મુસ્લિમો અલ્પસંખ્યક છે પરંતુ ધાર્મિક આધાર પર ક્યાંય કોઈ પ્રકારના અત્યાચારો મુસ્લિમો પર થયા નથી.તેનાંથી એકવાત સ્પષ્ટ છે કે ભારતમાં તમામ અલ્પસંખ્યકો સંપૂર્ણ સલામતી સાથે શાંતિપૂર્વક પોતાનું જીવન જીવે છે.પરંતુ પાકિસ્તાને આ લિયાકત કરારનું પાલન કર્યું નથી પરિણામે ત્યાં રહેતાં બિનમુસ્લિમ અલ્પસંખ્યકોએ અનેક યાતનાઓ-પીડાઓ ભોગવવી પડી છે.આ અલ્પસંખ્યકો પાસે ભારતમાં રહેવા સિવાય કોઈ ચારો નથી,કોઈ વિકલ્પ નથી.હિન્દુસ્તાન જ તેમનું આશ્રયસ્થાન બની શકે તેમ છે અને માનવતાની દ્રષ્ટીએ તે આપણી ફરજ પણ છે,આપણો ધર્મ પણ છે.૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીએ જાહેરમાં ઘોષણા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ જો ત્યાં નિવાસ કરવા માંગતા ન હોય તો ગમે ત્યારે ભારત આવી શકે છે.તેમને નોકરી આપવી તથા તેઓ સારી રીતે ભારતમાં જીવનનિર્વાહ કરી શકે તે માટે મદદ કરવી તે ભારત સરકારનું કર્તવ્ય છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પુ.બાપુનું સપનું પૂરું કર્યું છે અને ફરી એક વખત સાબીત કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

કલમ ૩૭૦ની નાબુદી એટલે બ્રિટીશ માનસિકતાની ગુલામીમાંથી મુક્તિની શરૂઆત.


ઇતિહાસમાં કેટલાંક પરિવર્તનો સ્વાભાવિક અને પ્રાકૃતિક હોય છે.જેમકે,અંગ્રેજ શાસનમાંથી ભારતની મુક્તિ.પરંતુ કેટલાંક પરિવર્તનો અસ્વાભાવિક અને અપ્રાકૃતિક હોય છે.જેમકે,ભારતનું વિભાજન અને ત્યારબાદ આઝાદ ભારતમાં કાશ્મીરને કાયદાકીય અલગ દરજ્જો.અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની નીતિનું વિષફળ એટલે પાકિસ્તાન અને કોંગ્રેસની અંગ્રેજ માનસિકતા આધારિત નીતિનું વિષફળ એટલે કાશ્મીરનો વિવાદ.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારતમાંથી બ્રિટીશ ધ્વજ ઉતારી લેવાયો હતો પરંતુ અંગ્રેજી માનસિકતામાંથી મુક્તિ નહોતી મળી. જવાહરલાલ નહેરુએતો પોતે વિદેશી માનસિકતાથી ગ્રસ્ત છે તેનો સ્વીકાર તેમની આત્મકથામાં પણ કરેલો છે.પાના નંબર ૫૯૬ પર તેમણે લખ્યું છે કે ‘‘ઘણાં વર્ષો વિદેશમાં અભ્યાસ કર્યા બાદ હું પૂર્વ અને પશ્ચિમના મિશ્રણ સમાન બની ગયો છું,બંને જગ્યાએ બહારનો,ઘરેલુ કયાંયનો નહીં’’ ( I have become a queer mixture of the east and west, out of place everywhere, at home nowhere).નેહરુની અંગ્રેજી માનસિકતાનો અંગ્રેજોએ આઝાદી પહેલાં પણ ઘણો મોટો લાભ લીધો હતો અને આઝાદી બાદ પણ તેના લીધે દેશને ઘણું ભોગવવું પડ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરવાનાં ઐતિહાસિક અને બહાદુરીભર્યા નિર્ણયને સમગ્ર દેશ અને દુનિયાનાં ભારતીયોએ સહર્ષ આવકાર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતનાં એકીકરણનું સપનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સાકાર કર્યું તે વાત સમગ્ર દેશે સ્વીકારી પરંતુ કેટલાંક ડાબેરી માનસિકતા ધરાવતા લેખક મિત્રોએ સરદાર વલ્લભભાઈ પટેલ કાશ્મીર જતું કરવા તૈયાર હતા અને નેહરુએ જ કાશ્મીરને પાકિસ્તાનમાં જતા રોક્યું એવી ગેરસમજ ફેલાવતા હતા તેથી સત્ય અને તથ્ય સાથે કેટલીક સત્ય ઘટનાઓ અહીં મૂકી રહ્યો છું.

કાશ્મીર ભારતમાં ભળ્યું તે પહેલાંની કેટલીક ઘટનાઓ જોઈએ તો સરદાર પટેલનો કાશ્મીર પ્રત્યેનો અભિગમ વધુ સ્પષ્ટ થશે.
સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી વી.શંકરે તેનાં પુસ્તકમાં લખ્યું છે કે શરૂઆતમાં કાશ્મીર અંગેની સરદાર વલ્લભભાઈ પટેલની ઉદાસીનતા તેમની કુટનૈતિક વ્યૂહરચનાનો ભાગ હતો.સરદારના મનમાં પહેલેથી જ સ્પષ્ટતા હતી કે કોઈપણ સંજોગોમાં કાશ્મીર ભારત સાથે જ હોવું જોઈએ.સરદારસાહેબે કુટનીતિ વાપરી પહેલેથી જ પંજાબ હાઇકોર્ટના ન્યાયાધીશ મહેરચંદ મહાજનની કાશ્મીરના વડાપ્રધાન તરીકે નિમણુંક કરતો આદેશ મહારાજા હરીસીંહને મોકલી આપ્યો હતો.
વલ્લભભાઈનો હરિસિંહને પત્ર,૨૧/૦૯/૧૯૪૭ : કાશ્મીરના હિતને લગતી બધી બાબતો અંગે અમારા વચ્ચે થયેલી વાતચીતનો સારાંશ ન્યાયાધીશ મહાજન તમને રૂબરૂમાં જણાવશે.અમારા તરફથી તમને પૂરો ટેકો તથા સહકાર મળશે,તેવું મેં વચન આપ્યું છે. (સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૧,પાના નં.૪૦).

૨૨મી ઓક્ટોબરે પાકિસ્તાનમાંથી ૫૦૦૦ હજાર કબાલીઓ શસ્ત્ર સરંજામ સાથે કાશ્મીરમાં ઘુસ્યા અને જોતજોતામાં મુઝફરાબાદ કબજે કરી બાળી મુક્યું.ચારે તરફ અંધાધૂંધીનો માહોલ હતો.ભારતનાં અનેક વીર બહાદુર જવાનોએ શહીદી વહોરી હતી.૨૪મી ઓક્ટોબરે હુમલાખોરોએ રાહુરાનું વીજમથક કબજે કરી શ્રીનગરનો વીજપુરવઠો બંધ કરી દીધો અને ૨૪મીની રાત્રે હુમલાખોરો બારામુલ્લા નજીક પહોંચી ગયા ત્યાંથી શ્રીનગર માત્ર ૪૦ માઈલના અંતરે જ  છે.જેની ગંભીરતા સમજીને ૨૫ ઓક્ટોબર ૧૯૪૭ની સવારે નેહરુની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની બેઠક મળી હતી જેમાં માઉન્ટબેટને જુનાગઢ અને કાશ્મીર બંને બાબતોમાં સંયમ વર્તવાની સલાહ આપી. જેને નેહરુએ ટેકો આપ્યો હતો ત્યારે સરદારે દ્રઢતાપૂર્વક જુનાગઢ અંગેના હુકમમાં ફેરફાર કરવાનો ઇન્કાર કરી કહ્યું હતું કે કાશ્મીરને લશ્કરી સહાય આપવામાં ભારતને રોકી શકે તેવી કોઈ મુશ્કેલી પોતાને જણાતી નથી.ત્યારબાદ નેહરુના અણગમા છતાં કાશ્મીરમાં લશ્કર મોકલ્યું હતું જેથી આપણે કાશ્મીર બચાવી શક્યા.

નેહરુનો અબ્દુલ્લા પ્રેમ : નેહરુએ ૨જી ડિસેમ્બરે મહારાજા હરિસિંહને લેખિત આદેશ આપ્યો ‘’ શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવીને તેમને પોતાનું પ્રધાનમંડળ બનાવવાનું કહેવું જોઈએ.મહાજન પ્રધાન બની શકે અને પ્રધાનમંડળની બેઠક વખતે અધ્યક્ષ પદે બેસી શકે પરંતુ મહાજન વડાપ્રધાન તરીકે ચાલુ રહે તો ગોટાળો થવાની સંભાવના રહે.વચગાળાની સરકારને પૂરી સતા સોંપી, તમારે ફક્ત બંધારણીય વડા રહેવું.’’(સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૪,પાના નં.૩૧૮).
દેશના ગૃહમંત્રી તરીકે અત્યાર સુધી આ બધી બાબતો સરદાર સાહેબ જોતા હતા પરંતુ આ પત્ર દ્વારા કાશ્મીર અંગેની નીતિ બનાવવાનું કામ નેહરુએ પોતાના હાથમાં લઇ લીધું.કાશ્મીર સંભાળવા માટે નેહરુએ ખાતા વગરના પ્રધાન તરીકે ગોપાળસ્વામી આયંગરની નિમણુંક કરી.આયંગર કાશ્મીરના જુના દિવાન હતા પરંતુ તેમની નિમણુંક અંગે પણ સરદાર સાહેબ સાથે અગાઉ પરામર્શ થયો નહોતો.(વી.શંકર,માય રેમીનિસન્સીઝ ઓફ સરદાર પટેલ ૦૧,પાના નં.૧૩૬).કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જવા સામે પણ સરદાર સાહેબનો ઉગ્ર વિરોધ હતો પણ માઉન્ટબેટન અને નેહરુએ આ પ્રશ્ન સયુંકત રાષ્ટ્રસંઘને સોંપ્યો.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ છે.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સખ્ત વિરોધી હતાં.ડો.આંબેડકરે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રીપોર્ટ જયારે ૨૧ ફેબ્રુઆરી,૧૯૪૮ના દિવસે બંધારણસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યો ત્યારે તેમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની કે શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.કાશ્મીરને ખાસ દરજ્જો આપવા માટે નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે ચર્ચા થઇ,નેહરુ તૈયાર હતા પરંતુ તેમણે અબ્દુલ્લાને કહ્યું કે તમે ડો.આંબેડકરને અને સરદારને મનાવી લો.

શેખ અબ્દુલ્લાએ જયારે આ પ્રસ્તાવ ડો.આંબેડકર સમક્ષ મુક્યો ત્યારે ડો.આંબેડકરનો જવાબ ‘’મી.અબ્દુલ્લા,તમે ઈચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે,કાશ્મીરની સીમાઓની સુરક્ષા કરે,કાશ્મીરમાં રોડ-રસ્તા બનાવે.અનાજ પૂરું પાડે અને કાશ્મીરને ભારત સમકક્ષ દરજ્જો મળે પરંતુ તમે નથી ઈચ્છતા કે ભારત અને ભારતના કોઈપણ નાગરિકને કાશ્મીરમાં કોઈ અધિકાર મળે.તમે ઈચ્છોછો કે ભારત સરકારને કાશ્મીરમાં મર્યાદિત સતા મળે.તમારા આ પ્રસ્તાવને માન્ય રાખવો તે દેશ સાથે દગાબાજી ગણાશે અને દેશના લોકોનો વિશ્વાસઘાત થયો ગણાશે.હું ભારતના કાયદામંત્રી તરીકે દેશહિત વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરીશ નહી’’ (પાના નંબર ૪૭૨,ડો.બી.આર.આંબેડકર ફ્રેમીંગ ઓફ ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન).

આમ,એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા તો બીજી તરફ અંગ્રેજી રંગે રંગાયેલા નેહરુ.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.આઝાદી બાદ ૧૭ વર્ષ સુધી જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન રહ્યા ત્યાર બાદ તેમના વંશજો.પરંતુ કોઈએ આ અસ્થાયી કલમ હટાવવાની પહેલ ન કરી અને સરદાર પટેલે વી.શંકરને કરેલી વાત સાચી સાબીત થઇ કે,’’જે સરકારમાં પ્રબળ રાષ્ટ્રભાવના હશે અને દેશની એકતા અને અખંડીતતા માટેની કટીબધ્ધતા હશે તે સરકાર આ ‘અસ્થાયી’ કલમ હટાવી દેશનાં એકીકરણનું અધૂરું કાર્ય પૂર્ણ કરશે,પરંતુ એ થશે જરુર તેવી મને શ્રધ્ધા છે.’’

મંગળવાર, 2 જુલાઈ, 2019

ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય - ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશીપ

૨૫ જુન ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો.કટોકટીકાળમાં થયેલી ધરપકડો,અમાનુષી અત્યાચારો,આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે.આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની,દમનની.

૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી.જેમાં ‘પ્રી-સેન્સરશીપ’ લાગુ કરવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી અને ભારત સુરક્ષા અધિનિયમ ૧૯૭૧ની કલમ ૪૮ હેઠળની જોગવાઈનો દુરપયોગ કરી દેશભરમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી.જે મુજબ કોઈપણ સમાચાર,નોંધ કે રીપોર્ટ અધિકૃત અધિકારીની તપાસણી તેમજ પરવાનગી વગર પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.કાયદાનો ભાગ ન હોય તે પ્રકારની કડક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી. જેથી મીડિયાજગતને સંપૂર્ણ બાનમાં લઇ શકાય.ઇન્દિરા ગાંધી સ્પષ્ટપણે માનતાં હતાં કે જો અખબારો પર નિયંત્રણ મુકવામાં નહીં આવે તો કટોકટીના નિર્ધારિત પરિણામો મેળવી શકાશે નહીં.જો જનતાને અખબારો દ્વારા વાસ્તવિક સ્થિતિની માહિતી મળતી રહેશે તો દેશમાં પ્રચંડ જનાંદોલન શરુ થશે અને પોતાનું આજીવન સતા પર રહેવાનું સપનું અધૂરું રહી જશે.સરકાર સામે પ્રજા વિરોધનો સુર અખબારોમાં પ્રકાશિત ન થાય તથા સરકાર સામે પ્રજાઆક્રોશ વધે નહીં તેથી સેન્સરશીપને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી.

કટોકટીની ઘોષણા પછી તરત જ રાત્રે દિલ્હીના અખબારોનો વિદ્યુતપ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીના પ્રખર આલોચક એવાં અંગ્રેજી દૈનિક ‘મધરલેન્ડ’ના મુખ્ય તંત્રી કે.આર.મલકાનીની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.સમગ્ર દેશમાં જે અખબારો સરકાર વિરોધી હતા તે બંધ કરાવી દેવામાં આવ્યા હતા.પોલીસ અને સરકારી અધિકારીઓએ અખબારો અને સમાચાર એજન્સીઓની ઓફીસ પર કબજો જમાવી દીધો હતો.મોટા ભાગના અખબારોની કચેરીઓમાં વગર વોરંટે ઘુસી પોલીસ અધિકારીઓએ સીલ મારી દીધા હતા.વિરોધ કરનારા પ્રકાશકો-તંત્રીઓની મીસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

કટોકટી પૂર્વે દેશમાં ચાર સમાચાર એજન્સીઓ હતી.જેમાં પીટીઆઈ(પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા),યુએનઆઈ(યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા),હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતી નો સમાવેશ થાય છે.પ્રેસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આ ચાર એજન્સીઓ પર અધિકાર જમાવવાનું સરકારે નક્કી કર્યું.પરિણામે ૧૩ ડીસેમ્બર ૧૯૭૫ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ચાર સમાચાર એજન્સીઓનાં જોડાણ માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું.આ જોડાણ થતાં તેને નવું નામ આપવામાં આવ્યું ‘સમાચાર’.આમ,’સમાચાર’નું નિર્માણ થતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ અખબારોનો કંટ્રોલ સરકાર હસ્તક આવી ગયો.

અખબારી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવા અને તેના પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવવાના હેતુથી ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ ‘આપતીજનક સામગ્રી પ્રકાશન નિષેધ અધિનિયમ ૧૯૭૬’ પારિત કરવામાં આવ્યો હતો.આ અધિનિયમ દ્વારા સરકારે અખબારોની આઝાદી પોતાના હસ્તક લઇ લીધી હતી.આ અધિનિયમની સૌથી ભયંકર વાસ્તવિકતા એ હતી કે તેને સંવિધાનની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આ અધિનિયમને કોઈપણ અદાલતમાં પડકારી શકાય નહીં.

ગુજરાતમાં તે સમયે બાબુભાઈ જશભાઈ પટેલની મોરચા સરકાર હતી તેથી ગુજરાત સરકારે સેન્સરશીપને બહાલી આપી નહીં અને માહિતી નિયામકની સેન્સર અધિકારી તરીકે નિમણુંક પણ કરી નહીં. પરિણામે, કેન્દ્ર સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડીયાના સ્થાનિક અધિકારીની સેન્સર અધિકારી તરીકે નિમણુંક કરી હતી.ગુજરાત વિધાનસભામાં પણ સેન્સરશીપનો વિરોધ થયો હતો.ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રમાં ધારાસભ્ય અશોકભાઈ ભટ્ટ અને અરવિંદભાઈ મણીયાર દ્વારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો કોઈપણ ભોગે જનતા સરકાર તોડવા મથી રહ્યા હતા.તડજોડની રાજનીતિ દ્વારા તેમાં તેઓ સફળ રહ્યાં અને અંતે ૧૨મી માર્ચે ગુજરાત વિધાનસભામાં મોરચા સરકાર બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ રહી અને ૧૩મી માર્ચે સાંજે ગુજરાતની મોરચા સરકારે રાજીનામું આપ્યું.તે જ રાત્રીના ગુજરાતમાં ધરપકડોનો દૌર શરુ થયો અને સેન્સરશીપનો કડક અમલ પણ શરુ થયો.

ગુજરાતનાં અનેક અખબારો – સામયિકોએ કટોકટીકાળમાં ઇન્દિરા સરકારના તાબે થવાને બદલે હિંમતભેર લડવાનું નક્કી કર્યું અને સેન્સરશીપ,જડતી,જપ્તી કે ધરપકડોની પરવા કર્યા વિના સરકારના કાળા કાયદા સામે મક્કમતાથી લડી લેવાનું નક્કી કર્યું.’સાધના’,’ભૂમિપુત્ર’,’સંદેશ’,’જનસતા’,’ફૂલછાબ’,’જન્મભૂમી’ વગેરે અખબારોએ અનેક કોર્ટકેસ,ધરપકડો,જપ્તી,દંડ,સજા વગરે જેવી અનેક તકલીફો વેઠીને પણ મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.’સંદેશ’ના એક તંત્રીલેખ પર સેન્સરની કાતર લાગી ત્યારપછી તંત્રીલેખની જગ્યા ખાલી રાખી માત્ર ગાંધીજીનો ફોટો મુક્યો અને ‘સબકો સન્મતિ દે ભગવાન’ તેવું લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અખબારો પરની સેન્સરશીપને લીધે લોકો સુધી સાચી વાત પહોંચવાનું બંધ થયું હતું તેથી તે સમયે દેશભરમાં ભૂગર્ભપત્રિકાઓ શરુ થઇ હતી જેમાં સરકારની જોહુકમી,અત્યાચારો,કટોકટી વિરુદ્ધના કાવ્યો,લેખો વગેરે પ્રસિદ્ધ થતાં અને તેના દ્વારા જનાંદોલન પ્રબળ બનાવવાના પ્રયત્નો થતાં રહ્યાં.રાષ્ટ્રસેવા કાજે સમર્પિત એવાં કેટલાંક લોકો પ્રજાજાગૃતિ માટે આ પ્રકારની ભૂગર્ભપત્રિકાઓ ચાલુ કરી હતી.જેમાં તે વખતનાં ગુજરાતના પત્રકારોનું યોગદાન મુખ્ય રહેતું.’જનતા છાપું’,’સત્યાગ્રહ સમાચાર’,’સંઘર્ષ સમાચાર’,’દાંડિયો’,’જનજાગૃતિ’,’નિર્ભય’,’જનતા સમાચાર’ વગેરે જેવી ગુજરાતી પત્રિકાઓ મુખ્ય હતી.

આ ઉપરાંત દેશભરનાં સાચા સમાચારો લોકો સુધી પહોંચે અને સરકારની જોહુકમી સામે વિરોધ પ્રગટ કરી શકાય તે માટે ભૂગર્ભ વાર્તાપત્રો પણ બહાર પાડવામાં આવતા હતા.આજે જે પ્રકારનાં કોમ્યુનીકેશન અને માહિતી એકત્ર કરવા માટે આધુનિક સંશાધનો ઉપલબ્ધ છે તેવી સગવડો ત્યારે નહોતી તેમ છતાં ટપાલ કે તાર દ્વારા છુપી રીતે કોડવર્ડથી જુદાજુદા પ્રદેશો વચ્ચે સમાચારોની આપ લે થતી અને તે સમાચારો વાર્તાપત્રોમાં સ્વહસ્તે લખાતાં,સાઇકલોસ્ટાઇલ મશીનમાં તેની નકલો કાઢવામાં આવતી અને તેને છુપી રીતે જુદાજુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતી.

આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીકાળમાં છુપાવેશે ભૂગર્ભમાં રહી આ બધી પ્રવૃતીઓ કરતાં હતા.કટોકટીકાળના તેમના અનુભવો સાથેનું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે ‘સંઘર્ષમાં ગુજરાત’.આ ઉપરાંત શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સહીત અનેક પત્રકારો-આગેવાનોએ પણ તે વખતનાં તેમના સ્વાનુભાવોને પુસ્તક રૂપે પ્રગટ કર્યા છે.જેમાં આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આમ,જેને લોકતંત્રની ચોથી જાગીર કહેવાય છે તેવા મિડીયાજગત પર સેન્સરશીપ લાદી તેનાં અવાજને કચડી ઇન્દિરા ગાંધી દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી હતી.કટોકટીકાળના આ કપરા ૨૧ મહિના આ દેશની લોકશાહીના ઇતિહાસનાં ‘કાળા અધ્યાય’ તરીકે હંમેશા યાદ રહેશે.