બુધવાર, 1 એપ્રિલ, 2020

આઝાદ ભારતના પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું યોગદાન.

આઝાદ ભારતની પ્રથમ જવાહરલાલ નેહરુની સરકારમાં ફક્ત ૨ વર્ષ માટે દેશના ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ જે કાર્યો કર્યા તે ખુબ જ સરાહનીય તથા નોંધનીય છે.ભારતના ઓદ્યોગિક વિકાસનો પાયો તૈયાર કરનાર ડો.મુખરજીના આ યોગદાન અંગે બહુ ઓછાં લોકોને ખ્યાલ હશે કારણકે જાણી જોઇને તેમનાં આ પાયારૂપ કાર્યની હંમેશા અવગણના કરવામાં આવી છે.જે કુનેહથી તેઓએ ઔદ્યોગિક વિકાસમાં આડખીલીરૂપ સમસ્યાઓનું સમાધાન કર્યું તેમજ ઔદ્યોગિક નીતિઓ બનાવી તેની પ્રશંસા તે સમયે તેમના વિરોધીઓએ પણ કરવી પડી હતી.કૃષિ પ્રધાન ભારતના ઔદ્યોગિક વિકાસ માટે તેમની પાસે સ્પષ્ટ આયોજન હતું.તેઓ માનતા હતા કે આપણાં દેશે હજુ ફક્ત રાજનૈતિક આઝાદી પ્રાપ્ત કરી છે પરંતુ દેશની રક્ષા તેમજ વિકાસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા સાથેની દેશની આર્થિક આઝાદી પ્રાપ્ત કરવાની દિશામાં હવે કામ કરવાનું છે.

દેશનાં પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે તેમણે જે કંઈ કાર્ય કર્યું તેની માહિતી,આંકડાઓ તથા વિવરણ ખરેખર રસપ્રદ છે.ખુબ જ ઓછાં સંશાધનો તથા ઓછામાં ઓછાં મૂડીરોકાણ દ્વારા દેશને પગભર કરવો એ બહુ મોટો પડકાર હતો.સંપૂર્ણ રાષ્ટ્રીયકરણના વિચારના તેઓ સમર્થક નહોતાં.તેઓ કહેતાં કે,’’બધાં ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી તેને સુચારુરૂપે ચલાવવા માટેનાં પૂરતાં સંશાધનો,નિપુણતા તથા પ્રશિક્ષિત લોકોની ખોટ છે ત્યારે યુવાનોને કૌશલયુક્ત બનાવી ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.’’તેઓ કૃષિક્ષેત્ર તથા ઉદ્યોગક્ષેત્રમાં નવી ટેકનોલોજીના હિમાયતી હતા.૧૯૪૮માં ભારત સરકારે જે ઔદ્યોગિક નીતિની ઘોષણા કરી તેમાં ડો.મુખરજીના વિચારોનું પ્રતિબિંબ દેખાઈ આવે છે.

૧૯૪૮ થી  ૧૯૫૦ના તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે ‘અખીલ ભારતીય હસ્તશિલ્પ બોર્ડ’, ’અખીલ ભારતીય હસ્તચરખા બોર્ડ’ તથા ‘ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ બોર્ડ’ની રચના કરી હતી.આ સંસ્થાઓના માધ્યમથી દેશના સુક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોનો વિકાસ કરી દેશનાં અર્થતંત્રને જીવીત કરવાનો તેમનો ધ્યેય હતો.તેમનાં જ કાર્યકાળમાં ‘વસ્ત્ર અનુસંધાન સંસ્થાન’ તથા ‘ઔદ્યોગિક નાણા નિગમ’ની પણ રચના થઇ હતી.સદીઓથી અસંગઠિત રીતે ચાલી રહેલા ભારતીય રેશમ ઉદ્યોગનાં વિકાસ માટે ૧૯૪૯માં ડો.મુખરજીએ ‘કેન્દ્રીય રેશમ બોર્ડ’ની પણ સ્થાપના કરી હતી.

આઝાદ ભારતની આત્મનિર્ભરતા માટેની ચાર મહત્વની પરિયોજનાઓની શરૂઆત કરવાનો શ્રેય પણ પ્રથમ ઉદ્યોગમંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફાળે જ જાય છે.૧૯૪૮માં પશ્ચિમ બંગાળના ચિતરંજન ખાતે સ્વચાલિત રેલ્વે એંજીન કારખાનાની શરૂઆત થઇ, જેમાં ૧૯૫૦માં ‘દેશબંધુ’ નામથી દેશનાં પ્રથમ સ્વચાલિત રેલ્વે એંજીનનું નિર્માણ થયું હતું.ડો.મુખરજીએ હિન્દુસ્તાન એયરક્રાફ્ટ ફેક્ટરી ને લીમીટેડ કંપનીમાં તબદીલ કરી તેને પુનર્જીવિત કરી હતી.બાદમાં ડો.મુખરજીના સતત માર્ગદર્શન હેઠળ આ ફેક્ટરીમાં ઇન્ડીયન એરફોર્સ માટે જેટ એરક્રાફ્ટના એસેમ્બલીંગનું કામ થયું,ભારતીય રેલ માટે ‘સ્ટીલ રેલ કોચ’ તથા પરિવહન માટેની બસના ઢાંચા બનાવવાનું કામ પણ થયું.

ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની કલ્પના પણ ડો.મુખરજીની હતી.ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના માટેની સંધી તેમના દ્વારા થઇ હતી તેને લીધે જ ૧૯૫૫માં તેની સ્થાપના સંભવ બની હતી.ન્યુઝપ્રિન્ટનું ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે ડો.મુખરજીએ મધ્યપ્રદેશમાં ‘રાષ્ટ્રીય ન્યુઝપ્રિન્ટ તથા પેપર મિલ્સ લીમીટેડ’ની સ્થાપના કરી હતી.ડો.મુખરજીની ઈચ્છા હતી કે ખાતરના ઉત્પાદનમાં ભારત સ્વનિર્ભર બને.તેમણે બિહારના ધનબાદ પાસે ખાતરના વિશાળ તથા આધુનિક કારખાનાની પણ સ્થાપના કરી હતી.તે જ રીતે બહુહેતુક પરિયોજના ‘દામોદર ઘાટી નિગમ (ડીવીસી)’ પણ ડો.મુખરજીની દુરંદેશી તથા પ્રશાસકીય કુનેહનું જ પરિણામ છે.આ યોજનાને સફળ બનાવવા માટે તેમણે કેન્દ્ર સરકાર,બિહાર સરકાર અને બંગાળ સરકાર વચ્ચે સહયોગનો સેતુ રચ્યો હતો.’દામોદર ઘાટી નિગમ’ બિહાર તથા બંગાળમાં ફેલાયેલી એક બહુ મોટી પરિયોજના છે.જે સિંચાઈ,જળ વ્યવસ્થાપન તથા ઉર્જાનો બહુ મોટો સ્ત્રોત છે.

વિશાળ ઔદ્યોગિક યોજનાઓની સાથે-સાથે ડો.મુખરજી લઘુ ઉદ્યોગો માટે બહુ સંવેદનશીલ હતા.લઘુ ઉદ્યોગોની સમસ્યાઓના નિરાકરણ તથા તેની આર્થીક મજબુતી માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો.તમિલનાડુ સ્થિત માચીસ ઉત્પાદન કરતા ૨૦૦ જેટલાં લઘુ-કુટીર ઉદ્યોગો માટે સીધો હસ્તક્ષેપ કરી તેમને જરૂરી તમામ સંશાધનો પુરા પાડ્યા હતા તેમજ માચીસ પરનાં ઉત્પાદન શુલ્કમાં પણ મોટી રાહત આપી હતી તથા કાચામાલની પૂર્તિ અને તૈયાર માલના વિતરણને સરળ કરવા માટે આર્થિક સહાયતા માટેની યોજના પણ અમલમાં મૂકી હતી.

આમ,આઝાદી બાદ દેશનો આર્થીક પાયો મજબૂત બનાવવામાં દેશનાં પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે.

ટિપ્પણીઓ નથી: