રવિવાર, 18 જાન્યુઆરી, 2009

સત્યમ જેવી બીજી કેટલી કંપનીઓ લાઈન માં ઉભી છે?


સત્યમ જેવી બીજી કેટલી કંપનીઓ લાઈન માં ઉભી છે?
કયાં ખોવાઈ ગઈ સેબી? અને કંપની બાબતોનું મંત્રાલય?
કોર્પોરેટ ગર્વનન્સ નાં બણગા ફુંકવાનું બંધ કરી હવે નક્કર પગલાં લો.
દરેક આર્થીક કૌભાંડો નાં અંતે મરે છે બીચારો નાનો રોકાણકાર.
હમણાં સુધી આપણે અમેરિકાનાં કોર્પોરેટ કૌભાંડો,એકાઉન્ટીંગ અને ઓડિટીંગ કૌભાંડો તેમજ પ્રમોટર્સ નાં કૌભાંડોની વાતો કરી ત્યાંનાં તંત્રને અને ત્યાંની એકાઉન્ટીંગ-ઓડિટીંગ પેઢીઑ તેમજ ત્યાંની રેટીંગ એજન્સીઓને ધીક્કારતા હતાં અને આપણે આપણી જ પીઠ થાબડી રહ્યાં હતાં પરંતુ આપણે તે સમયે એ ભુલી ગયાં હતાં કે આપણે પણ ઓડિટર્સ પશ્ચીમી દેશોમાંથી જ આયાત કર્યા છે અને આવા લોકો પર આંધળાની જેમ વિશ્વાસ મુકી તેઓની પધ્ધતિ ને અપનાવી લીધી.સત્યમનું કોર્પોરેટ કૌભાંડ તો હજી એક શરુઆત છે.તંત્ર દ્વારાં જો યોગ્ય તપાસ કરવામાં આવે તો હજુ ઘણીબધી કંપનીઓમાં આ પ્રકારનાં કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.કંપનીનાં પ્રમોટરો યેન કેન પ્રકારે પોતાનાં હિતની જાળવણી તેમજ પોતાનું શેર હોલ્ડીંગ વધારવા નાં ચક્કરમાં લોકો પાસેથી ભેગાં કરેલાં રુપિયાનું મનફાવે તેમ સંચાલન કરે છે અને અંતે રડવાનું નાનાં રોકાણકારો નાં ભાગે જ આવે છે.
ભારત સરકારનું કંપની બાબતોનું કેન્દ્રીય મંત્રાલય તેમજ સેબી દેશમાં કોર્પોરેટ ગર્વનન્સની સફળતાનાં મોટાં મોટાં બણગાં ફુંકે છે પરંતુ ભારતમાં સમયે સમયે કોર્પોરેટ ગર્વનન્સની ધજીયા ઉડાડી દે તેવાં બનાવો પણ બનતાં જ આવ્યાં છે.વેદાંતા (સ્ટરલાઈટ ગ્રુપ) નો રીસ્ટ્ર્કચરીંગ પ્રોગ્રામ જે પાછળ થી પડતો મુકવામાં આવ્યો તે આનું જીવંત ઉદાહરણ છે.તે ઉપરાંત મેટાસ ઈન્ફ્રાસ્ટ્ર્કચર કંપનીંમાં સત્યમનાં રોકાણની પ્રપોઝલ અંતે રોકાણકારો ની સમયસરની જાગૃતતાને લીધે અટકી ગઈ.આ બનાવ પણ કોર્પોરેટ ગર્વનન્સની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્નન મુકે છે.આ ઉપરાંત કલમ ૩૯૧ હેઠળ અનલીસ્ટેડ કંપનીઓનું લીસ્ટેડ કંપની સાથે મર્જર કરી પ્રમોટરો પોતાનું શેર હોલ્ડીંગ આડકતરી રીતે વધારી દે છે કારણ કે જે અનલીસ્ટેડ કંપનીનું મર્જર કરવામાં આવે છે તે કંપનીમાં પ્રમોટરોનું શેર હોલ્ડીંગ ૧૦૦% નું હોય છે.તે ઉપરાંત આઈપીઓ લઈ આવતાં પહેલાં કંપનીનું વેલ્યુએશન ખુબજ ઉંચુ લઈ જવા માટે અનલીસ્ટેડ કંપનીનું મુખ્ય કંપની સાથે મર્જર કરી એક ખોટું આભાસી ચિત્ર ઉભું કરી કંપનીનું વેલ્યુએશન ઉંચુ લઈ જવામાં આવે છે અને લાખો નાનાં રોકાણકારો પાસેથી કરોડો રુપીયા ઉઘરાવી લેવામાં આવે છે.આ રીતનું વ્યવસ્થીત કૌભાંડ ઘણાં વર્ષોથી ચાલે છે પરંતુ તેની સામે હજુ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.
સત્યમનું કૌભાંડ બધાં માટે આંખ ઉઘાડનારી ઘટનાં છે.તેમજ આ ઘટના રેટીંગ એજન્સીઓ,એકાઉન્ટીંગ ફર્મ,કંપની નાં ઓડીટર,ચાર્ટ્ડ એકાઉન્ટન્ટસ,વેલ્યુઅર્સ,મર્ચન્ટ બેંકર્સ વગેરે લોકોની વિશ્વસનીયતા પર પણ એક મોટો સવાલ ઉભો કરે છે.સત્યમની બેલેન્શીટ સાથે ઘણાં વર્ષોથી આટલાં મોટાં ચેડાં કરવામાં આવ્યાં છતાં તેની જાણ સેબી ને નહોતી અને ઉલ્ટા નું સેબી દ્વારા સત્યમને બેસ્ટ કોર્પોરેટ ગર્વનન્સ માટે નો ગોલ્ડન પીકોક એવોર્ડ આપવામાં આવે છે...અને એથી પણ વધારે જ્યારે ખુદ સત્યમનાં ચેરમેન પોતે ના છુટકે આ વસ્તુ લોકો સમક્ષ જાહેર કરે છે ત્યારે સેબીને આ ઘટનાં ની જાણ થાય,એ પણ એક ચોંકાવનારી ઘટનાં કહી શકાય.આ ઘટનાંથી સમજી શકાય કે સેબી દેશનાં નાનાં રોકાણકારોની સલામતી માટ કેટલી ચીંતિત છે??

ટિપ્પણીઓ નથી: